અમદાવાદ સહિત રાજ્યમાં 40 ડિગ્રીને પાર ગરમી પડી રહી છે. ત્યારે પાલતું પશુઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરાઇ છે, જેમાં સવારે 11થી બપોરના 4 વાગ્યા સુધી પશુઓને છાયાવાળી, હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા, બપોરે ભીના કપડાથી પશુનું શરીર ઢાંકવું, શેડના દરવાજા, બારી ખુલી રાખવી જોઇએ.
બપોરે પશુઓના શેડમાં શણના ભીના કોથળા બાંધવા, ડાંગરની પરાળી વગેરેથી છત, છાપરા ઢાંકવા, છતને સફેદ કલરથી રંગવી, પાણીના હવાડા સ્વચ્છ અને ઠંડા પાણીવાળા રાખવા, પશુઓને દિવસમાં બે વખત સ્નાન કરાવવું, દિવસે પશુઓનું પરિવહન ટાળવું, ચરાવવાનો સમય વહેલી સવારે કે સાંજે રાખવો, લીલો ઘાસચારો, ખાણ-દાણનો ખોરાક આપવો, નાના, ગાભણ અને દૂધાળા પશુઓની વિશેષ કાળજી રાખવી, પશુહાટ અને મેળાનું આયોજન ટાળવું જોઇએ. ગરમીમાં પશુઓમાં અનેક બીમારીઓના લક્ષણો જોવા મળે છે. તાત્કાલિક પશુચિકિત્સકની સલાહ તેમજ સારવાર લેવી જોઇએ. દરેક જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરાઇ છે.










