- અમદાવાદ ગાંધીનગર મેટ્રોને લઇ મહત્વના સમાચાર
- કેબલ સ્ટ્રેટ બ્રિજ પર મેટ્રોના ડબ્બાનો લોડ મુકી ચેકિંગ કરાયું
- જુલાઈ મહિનામાં ચાલુ થશે ગાંધીનગર અમદાવાદ મેટ્રો સેવા
અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદને ગાંધીનગરને જોડતા નર્મદા કેનાલ પર બની રહેલા કેબલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. નર્મદા મેઇન કેનાલ પર બનાવવામાં આવેલ આ કેબલ સ્ટ્રેટ બ્રિજ પર લોડ મૂકીને બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે લોડ તરીકે મેટ્રો ટ્રેનના ચાર ડબ્બાઓ મૂકીને લોડ ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે, માહિતી મળી રહી છે કે આગામી જુલાઇ મહિનામાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવા શરૂ થઈ શકે છે.

જુલાઈ મહિનાના અંતમા અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ શરૂ થઈ શકે છે. હાલ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવા શરૂ કરવાની કામગીરી આખરી તબક્કામાં ચાલી રહી છે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રોની સેવાઓ શરૂ થશે. હાલમાં ગાંધીનગરના ચ-0 સર્કલ સુધીની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનાથી ડબ્બા લગાવી ટ્રાયલ રન પણ કરાઈ રહ્યો છે. મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા મેટ્રો રેલ સેફ્ટી કમિશ્નર જુન મહિનામાં ગુજરાત આવવાના છે.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદમાં 21 વર્ષ પહેલા વર્ષ 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું હતું. વર્ષ 2019માં જાહેર જનતા માટે પહેલી મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી શરૂ થઇ હતી. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી. આ સાથે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ થયો હતો.

મોદીએ કર્યુ હતુ ઉદ્ધાટન
30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. લોકાર્પણ કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરીકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ ફેઝમાં કુલ ખર્ચ 12 હજાર કરોડથી વધુ થયો છે. જેની સામે 2014થી અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટથી 910 લાખ માનવ દિવસ રોજગારનું સર્જન થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ-નિકાસ પોઇન્ટ છે.
મેટ્રો ટ્રેન – પૂર્વથી પશ્ચિમ રૂટ સ્ટેશન
- થલતેજ
- દૂરદર્શન કેન્દ્ર
- ગુરૂકુલ રોડ
- ગુજરાત યુનિવર્સિટી
- કોમર્સ છ રસ્તા
- એસ પીસ્ટેડિયમ
- જૂની હાઇકોર્ટ
- શાહપુર
- ઘીકાંટા
- કાલુપુર રેલવે સ્ટેશન
- કાંકરિયા પૂર્વ
- એપરેલ પાર્ક
- અમરાઈવાડી
- રબારી કોલોની
- વસ્ત્રાલ
- નિરાંત ક્રોસ રોડ
- વસ્ત્રાલ ગામ
મેટ્રો ટ્રેન – ઉત્તર થી દક્ષિણ રૂટ સ્ટેશન
- મોટેરા સ્ટેડિયમ
- સાબરમતિ
- એઈસી
- સાબરમતિ રેલવે સ્ટેશન
- રાણીપ
- વાડજ
- વિજય નગર
- ઉસ્માનપુરા
- જુની હાઈકોર્ટ
- ગાંધીગ્રામ
- પાલડી
- શ્રેયસ
- રાજીવ નગર
- જીવરાજ પાર્ક
- એપીએમસી
મેટ્રો ટ્રેન ટિકિટ દર અને સુવિધા
બન્ને કોરિડોરમાં ટિકિનો દર અલગ અલગ સ્ટેશન માટે રૂપિયા 5થી 25ની વચ્ચે રહેશે. જો સુવિધાની વાત કરીએ તો, સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.
મેટ્રો ટ્રેન ફેઝ-2નો કયો રૂટ રહેશે
મેટ્રો ટ્રેનનો ફેઝ-1 સાત-આઠ વર્ષની કામગીરી બાદ શરૂ થઈ રહ્યો છે, તો હવે મેટ્રો ફેઝ-2 પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કોરિડોર રહેશે, જેમાં 22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)થી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.