• શહેરમાં વ્યાજખોરો દ્વારા યુવકની સરાજાહેર હત્યા કરવામાં આવી
  • આરોપીઓએ યુવક સાથે ઝઘડો કરીને તલવારથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી
  • મણીનગર પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

વ્યાજખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસના અનેક પ્રયત્નો છતાં પણ વ્યાજ ખોરીને ડામવામાં શહેર પોલીસને સફળતા મળી રહી નથી. અમદાવાદ શહેરમાં ફકત 5 હજાર રૂપિયાની લેતી દેતી મામલે વધુ એક હત્યા વ્યાજખોરો દ્વારા નીપજાવવામાં આવી છે.

રૂપિયાની લેતી દેતીના કારણે વ્યાજખોરોએ એક વ્યક્તિને જાહેરમાં તલવાર વડે રહેંસી નાખ્યો

વ્યાજખોરોના કારણે ફરી એકવાર અમદાવાદ શહેર રક્તરંજીત થયું છે. ફક્ત 5000 રૂપિયાની લેતી દેતીના કારણે વ્યાજખોરોએ એક વ્યક્તિને જાહેરમાં તલવાર વડે રહેંસી નાખ્યો છે. વટવામાં રહેતા 38 વર્ષીય લલિતભાઈ ગગનાણી પોતાના મિત્રો સાથે કાંકરિયા ખાતે ઝીરાફ સર્કલ નજીક ફૂટપાથ પર ઉભા હતા. આ દરમિયાન વ્યાજખોર ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે, કૈલાસ અને એક અજાણ્યો યુવક કારમાં તલવાર અને છરી લઈને આવ્યા હતા અને રૂપિયાની માગણી કરી હતી અને ત્યારબાદ આરોપીઓએ લલિત ભાઈ સાથે ઝઘડો કરીને તલવારથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી.

લલિતભાઈ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક લલિતભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તેમણે થોડા સમય પહેલા જય ભોલે ફાઈનાન્સ કંપની ચલાવતા ભાવિક ઉર્ફે ભાવેશ પાસેથી વ્યાજે રૂપિયા 5 હજાર લીધા હતા અને દરરોજ 100 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેમણે રૂપિયાની ચુકવણી કરવાની બંધ કરી દીધી હતી એટલે વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી.

મણિનગર પોલીસે આ કેસમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

આ ઉઘરાણી દરમ્યાન મૃતક લલિતભાઈએ અપશબ્દો શબ્દો બોલતા વ્યાજખોર ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના માણસોને લઈને મૃતકની હત્યા કરવા માટે આવ્યો હતો. મૃતક મિત્રો સાથે વાતચીત કરતો હતો, ત્યારે આરોપીઓએ હથિયારોથી હુમલો કરી તેની હત્યા નિપજાવી દીધી હતી. આ બનાવને લઈને મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મણિનગર પોલીસે હાલ તો આ હત્યા કેસમાં પરિવારજનના નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે. હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેમને ઝડપી પાડવા મણીનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે .

  • Follow us on: