ગુજરાત પોલીસ બેડામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલ ગુજરાતની સૌથી મોટી સુરક્ષિત જેલ હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસ બેડાનું નાક કપાયું છે. ફરાર કેદીને વિરૂદ્ધ રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી બિમાર હોવાથી જેલની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. આ દરમિયાન તે પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. મનુજી ઠાકોર નામનો આરોપી હારીજમાં હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો. જેને લઇને રાણીપ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.  સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલો આરોપી બીમારીનું બહાનું બનાવીને પોલીસને ચકમો આપી ચૂક્યો છે. ઓપન જેલ દવાખાને સારવાર લેવા ગયા બાદ કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર થવામાં સફળ રહ્યો છે. મનુજી ઠાકોર હારીજમાં હત્યા કેસના ગુનાની સજા ભોગવી રહ્યો હતો.

જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ અમદાવાદ શહેરના ભદ્ર ખાતે આવેલી સિટી સેશન્સ કોર્ટના સંકુલમાંથી પોલીસ જાપ્તામાં રહેલો પાકા કામનો કેદી ફરાર થઈ જતાં વિવાદ સર્જાયો હતો. પાકા કામના કેદી વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધાયો છે. કેસની ટ્રાયલ શરૂ થતાં તેને પોલીસ જાપ્તા સાથે રાજકોટની જેલમાંથી લાવવામાં આવ્યો હતો. રાજકોટ જેલમાં બંધ રાધેશ્યામ ઉર્ફે ગોપાલ ઉર્ફે કુલદીપ રાજદેવની કસ્ટડી લીધી હતી. પોલીસ જાપ્તામાં રાધેશ્યામને રાજકોટથી અમદાવાદની ભદ્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટની મુદ્દત પૂરી થતાં તેને રાજકોટ પરત લઈ જવાની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે આરોપી પોલીસને ચકમો આપી કોર્ટ પરિસરમાંથી ફરાર થઈ ગયો હતો.

  • Follow us on: