ડોન બનવા નીકળેલા અમદાવાદના એક કુખ્યાત આરોપી વિરુદ્ધ ગુજસીટોકની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કૃષ્ણનગર વિસ્તારમા આતંક મચાવનાર કુખ્યાત આરોપી ધમા બારડ અને તેની ગેંગ ઉપર હવે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
ધમા બારડની ગેંગ ખુલ્લી તલવારો અને હથિયારો સાથે ભયનો માહોલ ફેલાવતા
જે અંતર્ગત આ ગેંગના ત્રણ સભ્યો સામે ગુજસીટોકની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી અસામાજિક તત્વોએ શહેરના નરોડા, કૃષ્ણનગર, અમરાઈવાડી, સોલા, વાડજ સહિતના વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો અને જાહેર રસ્તા ઉપર તેમજ સોસાયટીઓમાં ખુલ્લી તલવારો અને હથિયારો સાથે ભયનો માહોલ ફેલાવતા હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. જેને લઈને હવે પોલીસ દ્વારા પણ આવા આરોપીઓ સામે કડકાઈથી કાર્યવાહીઓ કરવાની શરૂઆત કરી દીધી છે.
ગુનાહિત ઈતિહાસ ધરાવે છે ધમા બારડ
જે અંતર્ગત કૃષ્ણનગર વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલી ધમા બારડની ગેંગ ઉપર હવે ગુજસીટોકના કાયદાની અમલવારી કરવામાં આવશે. જેમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બારડ, સાહિલ પટેલ ઉર્ફે જોગી અને ચિરાગ મરાઠી ઉર્ફે ચીબા ઉપર ગુજસીટોકના કાયદાની અમલવારી કરવામાં આવશે. મહત્વનું છે કે કૃષ્ણનગર વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ ધમા બારડ અને તેની ગેંગ વિરુદ્ધ તોડફોડ, મારામારી કરવી સહિતની ફરિયાદો નોંધાઈ હતી. જે બાદ તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
ત્યારે હવે તેમના વિરુદ્ધ ગુજસીટોકની અમલવારી કરવામાં આવી રહી છે. જો ધમા બારડ અને તેની ગેંગના સભ્યોનો ગુનાહીત ઈતિહાસ જોઈએ તો ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમા વિરુદ્ધ અત્યાર સુધી અલગ અલગ 26 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાહિલ પટેલ ઉર્ફે જોગી વિરુદ્ધ 10 ગુનાઓ તેમજ ચિરાગ મરાઠી વિરુદ્ધ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ અને તેની ગેંગ દ્વારા ખૂન, ખૂનની કોશિશ, ખંડણી, મારામારી, ધાડ, હથિયારો સાથે નીકળવું, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતના ગુનાઓ આચરેલા છે, જેને લઈને અલગ અલગ ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે.
અસામાજિક તત્વો અને ગેંગ ચલાવતા આરોપીઓનો ખોફ સ્થાનિકોમાં રહેલો
કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં હવે પોલીસે ગુજસીટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ હેઠળની કલમો ઉમેરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે હજુ પણ શહેરમાં અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વો અને ગેંગ ચલાવતા આરોપીઓનો ખોફ સ્થાનિકોમાં રહેલો છે, જેને પણ તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી જેલ હવાલે કરે તેવી લોક માગણી ઉઠી રહી છે.









