• AMCએ બનાવેલા નવા રસ્તાનું વરસાદી પાણીમાં થયું ધોવાણ

  • ખારીકટ કેનાલ ઉપર નવો બનાવેલો રસ્તો ધોવાઈ ગયો
  • કોર્પોરેશન જેને કોન્ટ્રાક્ટ આપે છે તેની સામે પગલાં લેવા જોઈએ: સ્થાનિક

અમદાવાદમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે, ત્યારે તંત્રની પોલ પર પણ વરસાદી પાણી ફરી વળતા પોલ ખુલી ગઈ છે. વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ઠેરઠેર ખાડા જોવા મળી રહ્યા છે અને AMCએ બનાવેલા નવા રસ્તાઓનું પણ ધોવાણ થયુ છે. ખારીકટ કેનાલ ઉપર બનાવેલો નવો રસ્તો વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે.

વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા

શહેરમાં રોડ પર અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે તો હાઇવે પર પણ ખાડા પડતા વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે છ માસ અગાઉ બનેલા રોડ અથવા તો રીપેર કરાયેલા રોડ પર પણ ખાડા પડી જતા રોડની ગુણવત્તાને કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ત્રણ મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડની દુર્દશા જોઈ શકાય છે. આખા રોડ પર ગણ્યા ગણાય નહીં તેટલા ખાડા જોવા મળી રહ્યા છે.

સમગ્ર રસ્તાઓ પર માત્ર ખાડાઓનું જ રાજ

આખા માર્ગ પર બસ જ્યાં જુઓ ત્યાં માત્ર ઉખડેલો ડામર જ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવીની રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યુ છે. સ્થાનિકો કહી રહ્યા છે કે રસ્તો હજુ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે અને એટલામાં તૂટી પણ ગયો છે. રસ્તામાં ખાડાઓનું રાજ હોવાના કારણે કેટલાક વાહનચાલકો પડી પણ જાય છે. ત્યારે આ મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાની માગ કરી રહ્યા છે.

ગઈકાલે શહેરના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સમગ્ર શહેરમાં વરસાદ વરસ્યો હતો અને લોકોને બફારામાંથી થોડાક અંશે રાહત મળી છે. ગઈકાલે શહેરના ગોતા, સોલા, થલતેજ, વસ્ત્રાપુર, પકવાન ચાર રસ્તા, સિંધુભવન રોડ, ઈસ્કોન ચાર રસ્તા, પ્રહ્લાદનગર ગાર્ડન રોડ, જોધપુર, શિવરંજની, નરોડ, મેમ્કો, બાપુનગર, વસ્ત્રાલ અને અન્ય ઘણા વિસ્તારમાં વરસાદ ખબક્યો હતો. 

  • Follow us on: