• જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનું મોસાળમાં કરાશે સ્વાગત

  • 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં બિરાજશે
  • મોસાળવાસીઓ ભગવાનને આવકારવા માટે સરસપુર આવે છે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથજીની મોસાળમાં પધરામણી માટે સરસપુરના મોસાળવાસીઓ ખુબ જ આતુર જોવા મળી રહ્યા છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનું મોસાળ સરસપુરમાં વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે.

ભગવાનના આગમન માટે શોભાયાત્રાનું આયોજન

ત્યારે તમને જણાવી દઈએ કે 15 દિવસ સુધી ભગવાનને મોસાળમાં ભજન કીર્તન સાથે વિવિધ ધાન ધરાવી લાડ લડાવવામાં આવશે. ત્યારે શોભાયાત્રાના યજમાન અને ધારાસભ્ય દિનેશ કુશવાહાએ કહ્યું કે ભગવાનના આગમન માટે શોભાયાત્રાનું આયોજન કર્યુ છે અને મોસાળવાસીઓ ભગવાનને આવકારવા માટે સરસપુર આવે છે. જો કે ટેક્નોલોજી વધતા હવે પરંપરા થોડી બદલાઈ છે.

રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક

અમદાવાદની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડબાજા વાળા જોડાશે તથા સાધુસંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ ધરાવવામાં આવશે તથા 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ કરાશે તથા સવારે 4 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. સવારે 5 વાગે જગન્નાથજીના પ્રિય આદિવાસી નૃત્ય અને રસ ગરબા, ભગવાનના પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. સવારે 5.45 વાગે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે. સવારે 7 વાગે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે.

  • Follow us on: