અમદાવાદથી પ્રયાગરાજ ગયેલા હજારો શ્રાદ્ધાળુઓ હાલ ત્યાં ટ્રાફિકજામ, હાઉસફૂલ ટ્રેનો, ઊંચા વિમાની ભાડા, ખાનગી બસોની ઉઘાડી લૂંટ વચ્ચે ફસાઈને પડયા છે.


તા.15, અને 16 આમ બે દિવસ પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન બંધ રહ્યા બાદ ભીડ અન્ય રેલવે સ્ટેશનોએ પહોંચી હતી. આ સ્થિતિમાં જાણકારીનો અભાવ, ચારેબાજુ અંધાધૂંધી, ટ્રેનો અને પ્લેટફોર્મના સમય અને સ્થાન સતત બદલાવાના કારણે અનેક ગુજરાતીઓ ટ્રેનો ચૂકી ગયા હોવાનું જાણવા મળે છે. હાલ સહપરિવાર કેટલાક પરિવારો રેલવે સ્ટેશને અટવાઇ પડયા છે અને બીજી ટ્રેનોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

રવિવારે પ્રયાગરાજથી અમદાવાદનું હવાઇ ભાડું 60 હજાર સુધીનું વસૂલવામાં આવ્યું હતું. સોમવારનું ભાડું મિનિમમ 16,829 થી લઇને 61,447 રૂપિયા જેટલું બોલાતા હવાઇ મુસાફરીનો વિકલ્પ ગરીબ અને મધ્યમવર્ગ માટે બંધ થઇ ગયો છે. તેવા ટ્રેનોની અવ્યવસ્થાએ પ્રયાગરાજમાં અમદાવાદથી ગયેલા શ્રાદ્ધાળુઓને ભારે હાલાકીમાં મૂકી દીધા છે.

ટ્રેનોમાં ચઢવું-ઉતરવું પણ મુશ્કેલ બન્યું છે, માલસામાન અને સહપરિવાર સાથે લોકો પ્રયાગરાજમાં આમતેમ રેલવે સ્ટેશનો અને પ્લેટફોર્મો પર ધક્કા ખાઇ રહ્યા છે. તેમાંય બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની હાલત વધુ કફોડી બની હોવાનું ત્યાં હાજર અમદાવાદી શ્રાદ્ધાળુઓનું કહેવું છે. સંગમસ્થળેથી 10 જેટલા કિ.મી. ચાલીને રેલવે સ્ટેશને પહોંચવાનું અને તેમાંય ટ્રેનો ચૂકી જવું, અતિભીડમાં ટ્રેનમાં ચઢી જ ન શકાય તેવી સ્થિતિનું નિર્માણ થવું સહિતની સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે.

પ્રયાગરાજથી અમદાવાદ આવતી ટ્રેન નં. 19436 તા.23 ફેબ્રુાઆરી, 2,9,16 અને 23 માર્ચ સુધી નોરૂમના પાટિયા વાગી ગયા છે. તા.17 ફેબ્રુઆરીની 09404 નંબરની અમદાવાદ કુંભ સ્પેશિયલ ટ્રેન હાઉસફૂલ થઇ ગઇ છે. આ સ્થિતિમાં તા. 16 ફેબ્રુઆરીને રવિવારે ખાનગી બસોમાં પ્રયાગરાજથી અમદાવાદ આવવાનું વન-વેનું ભાડું 4,500થી 5,000 પ્રતિ મુસાફર વસુલાયું હતું.


  • Follow us on: