- અમદાવાદમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરની મનમાની
- તબીબ સમય પર ન આવતા હોવાના સગાનો આક્ષેપ
- ડોક્ટર સમય કરતા પહેલા દવાખાનેથી નીકળી જતાં હોવાની પણ રાવ
અમદાવાદના નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરની દાદાગીરી સામે આવી છે, ગરીબ દર્દીઓ વધારે ખર્ચ ભોગવી ના શકવાના કારણે સરકારી દવાખાનાનો લાભ લેતા હોય છે પણ નવા વાડજના અર્બન હેલ્થ સેન્ટરના દવાખાનામાં તો ડોક્ટરના જ ઠેકાણા નથી, કારણ કે આ ડોક્ટરને સરકારી દવાખાનામાં સેવા આપવામાં કોઈ રસ નથી, તેને પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવવામાં રસ છે, કારણ કે ત્યાં મલાઈ વધારે મળે છે.
ડોક્ટર સમય કરતા પહેલા આ દવાખાનેથી નીકળી જતાં હોવાની પણ રાવ
વાયરલ વીડિયોમાં ડોક્ટરની દાદાગીરી જોઈ શકાય છે. ડોક્ટર કહે છે કે હું દરરોજ અહીં આવવાનો નથી માત્ર અઠવાડિયામાં એક જ વખત આવીશ, આ સિવાય પણ ડોક્ટર સમય કરતા પહેલા આ દવાખાનેથી નીકળી જતાં હોવાની પણ રાવ ઉઠી છે. ડોક્ટર અહીં આવે છે અને દર્દીઓને તતડાવે છે અને કહે છે કે મારી હોસ્પિટલમાં ઓપરેશન હતું તેથી મોડો આવ્યો છું. આ સિવાય ડોક્ટર તેની પોતાની હોસ્પિટલને પણ પ્રમોટ કરે છે.
ડોક્ટર સમય પર ના આવતા હોવાનો દર્દીઓના સગાઓએ પણ આક્ષેપ કર્યો છે, ત્યારે ડોક્ટર રાહુલ મોદીએ જવાબ આપતા કહ્યું કે UHCમાં તપાસ માટેનો સમય 10થી 1નો છે પણ ઓપરેશનમાં વ્યસ્ત હોવાના કારણે 10થી 11 હાજર રહું છું. ત્યારે આ વાયરલ થયેલા વીડિયો મામલે હવે AMC તપાસ શરૂ કરી છે.









