અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ પાણીજન્ય રોગચાળો માઝા મૂકી રહ્યો છે અને દાણીલમડા સહિત દક્ષિણ ઝોનના કેટલાંક વિસ્તારો અને પૂર્વ ઝોનના એક - બે વિસ્તારોમાં કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે.
દાણીલીમડા વોર્ડમાં ચંડોળા તળાવ અને પરિક્ષિતલાલ નગર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક સમયથી કોલેરા, ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળાના કેસો વધી રહ્યા છે. બહેરામપુરા, લાંભા, વટવા, દાણીલીમડા, વસ્ત્રાલ, વિસ્તારમાં સૌથી વધારે ઝાડા -ઉલટી સહિતના પાણીજન્ય કેસો નોંધાયા છે. માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના 724 કેસ, ટાઈફેઈડના 402 કમળાના 164 અને કોલેરાના 12 કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 29, મેલેરિયાના 13, ઝેરી મેલેરિયાના 3 અને ચીકગુનિયાનો 4 કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં 90495 લોહીના નમુના લેવાયા છે અને 3522 સીરમ સેમ્પલ લઈને તપાસ માટે મોકલી અપાયા છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને છસ્ઝ્ર બોર્ડ બેઠકમાં પણ વિપક્ષના નેતા અને કોર્પોરેટરોએ પરિક્ષિતલાલનગર, ચંડોળા તળાવ આસપાસના વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને કારણે એક બાળકીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરીને પાણીમાં પોલ્યુશનની વ્યાપક ફરિયાદો અને પાણીજન્ય રોગચાળા મામલે પસ્તાળ પાડી હતી.










