- તમામ ફ્લાઇટ ડેઇલી હોવાથી શહેરીજનોને મોટી રાહત થશે
- દિલ્હીની ફ્લાઇટને વોટર કેનન સેલ્યુટથી સ્વાગત કરાયુ
- ત્રણ શહેરો માટે ફ્લાઇટ શરુ થતા શહેરીજનોમાં ખુશી
એર એશિયા ઇન્ડિયા દ્વારા શુક્રવાર થી સુરતથી બેંગલુરુ, દિલ્હી અને કોલકાતા માટેની વિમાની સેવા શરુ કરવામાં આવી હતી. શુક્રવારે પ્રથમ દિવસે એર એશિયાની દિલ્હીની ફ્લાઇટને વોટર કેનન સેલ્યુટથી સ્વાગત કરાયુ હતુ. સુરતથી એક સાથે ત્રણ શહેરો માટે ફ્લાઇટ શરુ થતા શહેરીજનોમાં ખુશી છે. સુરત એરપોર્ટ પરથી એક પછી એક કરીને ફ્લાઇટો બંધ થતા લોકોને અસુવિધા થઇ રહી હતી. શહેરીજનો દ્વારા આ અંગે વારંવાર વિમાન કંપનીઓને રજૂઆત કરી ફ્લાઇટ શરુ કરવાની રજૂઆતો પણ
કરવામાં આવી છે. હવે એર એશિયા ઇન્ડિયા દ્વારા બેંગલુરુ, દિલ્હી અને કોલકાતાની ફ્લાઇટને લીધે લોકોને અવર-જવર માટે વધુ વિકલ્પ મળી રહેશે. આ તમામ ફ્લાઇટ ડેઇલી હોવાથી અઠવાડિયામાં રોજ ઉડાન ભરશે. જેથી વેપારી વર્ગ મોટી સુવિધા ઉભી થઇ છે. શુક્રવારે પ્રથમ દિવસે ફ્લાઇટ પર મહેમાનો માટે શ્રીખંડ મૂસ પીરસવામાં આવ્યો હતો. એર એશિયા ઇન્ડિયાના ચીફ કમર્શિયલ અંકુર ગર્ગએ જણાવ્યું હતું કે સુરત ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતા શહેરો પૈકી એક છે અને ભવિષ્યમાં વૃદ્ધિ માટે મોટા પાયે સંભાવના ધરાવે છે. એરએશિયા ઇન્ડિયા દ્વારા આગામી દિવસોમાં સુવિધાજનક સમય પર 21 વીકલી ડાયરેક્ટ ફ્લાઇટ શરુ કરવામા આવશે જે સુરતને બેંગલુરુ, દિલ્હી અને કોલકાતા સાથે જોડશે.










