• 15 ઓક્ટોબર સુધી અભ્યારણ્ય બંધ રહેશે
  • પ્રાણીઓના પ્રજનન કાળ હોવાથી લોકોનો પ્રવેશ બંધ
  • 16 ઓક્ટોબરથી લોકો માટે અભ્યારણ ખુલ્લા મુકાશે

ચોમાસા દરમ્યાન 15 જૂનથી 15 ઑક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 16 ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે. 

વનવિભાગ દ્વારા જાહેર આપવામાં આવેલ માહિતી મુજબ, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-28 અને 33ની જોગવાઇ મુજબ ચોમાસા દરમ્યાન 15 જૂનથી 15 ઑક્ટોબર દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોઈ, જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ગુજરાતનાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે. 

16 ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવાના રહેશે, એમ પણ રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન એન. શ્રીવાસ્તવની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.