રેલવે બજેટને લઈ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. ગુજરાત માટે પણ મોટું રેલવે બજેટ ફાળવવામાં આવ્યું છે. ગુજરાત માટે 17,155 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે, તેવું રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે. આ રકમ UPAના કાર્યકાળ કરતા 29 ગણી વધુ છે. જેના દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અનેક મોટા કામકાજ થશે.
ગુજરાતમાં કુલ 87 નવા સ્ટેશન બની રહ્યા છે: અશ્વિની વૈષ્ણવ
આ સાથે જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગુજરાતમાં 2,700 કિલોમીટરના નવા રેલવે ટ્રેક બન્યા છે. જે ડેન્માર્ક જેવા સમગ્ર દેશ કરતા વધારે છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 87 નવા સ્ટેશન બની રહ્યા છે. જેના કારણે મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે અને અગવડતામાં ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેનને લઈને પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને અમદાવાદના કેટલાક વિસ્તારમાં મેટ્રો ટ્રેન શરૂ પણ થઈ ગઈ છે અને મુસાફરો આરામદાયક મુસાફરીનો આનંદ પણ માણી રહ્યા છે.
બુલેટ ટ્રેન અંગે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન
ત્યારે બુલેટ ટ્રેન અંગે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપતા કહ્યું કે 340 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના શાસનમાં અઢી વર્ષ કામ લટક્યું હતું. આ સાથે જ હાલમાં સમુદ્રની નીચે ટનલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. નદીઓ પર પુલ પણ બની રહ્યા છે. જે કામગીરી પણ થોડા સમયમાં પૂર્ણ થઈ જશે અને નક્કી કરેલી સમયમર્યાદામાં કામકાજ પૂર્ણ થશે.