- અષાઢી બીજથી અંબાજી મંદિરમાં દર્શન સમય ફેરફાર
- પ્રથમ નવરાત્રીએ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા અને હવન પૂજન કર્યું
- રથયાત્રાના દિવસે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરનું પૂજન કરવામાં આવે છે
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખ ધરાવે છે.
મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટ્યા
આજે અષાઢ સુદ એકમથી દેશભરમાં ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરની હવન શાળામાં માઈ ભક્તો હવન કરતા જોવા મળ્યા હતા અને બ્રાહ્મણો પૂજન અર્ચન કરતા જોવા મળ્યા હતા.
ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ
અંબાજી મંદિર ખાતે અખાત્રીજથી અષાઢી એકમ સુધી રોજ સવારે,બપોરે અને સાંજે 3 વખત આરતી થાય છે અને માતાજીને દિવસમાં 3 વખત સ્નાન કરાવવામાં આવે છે. દેશભરમાં આજથી એટલે કે અષાઢી એકમથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે આ નવરાત્રીમાં માતાજીની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે અને પૂજનનું પણ વિશેષ મહત્વ હોય છે, ત્યારે માઈ ભક્તો આજે અંબાજી મંદિરમાં માતાજીના પાઠ કરતાં પણ જોવા મળ્યા હતા.
દર્શનના સમયમાં ફેરફાર
અંબાજી મંદિરમાં અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરનું પૂજન કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શનના સમયમાં ફેરફાર થાય છે અને બપોરની આરતી બંધ થાય છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માઈ ભક્તોને જણાવવામાં આવ્યું છે કે આ નવરાત્રીમાં માતાજીના પાઠ અને પૂજન કરવું જોઈએ, જેનાથી માતાજી ભક્તો ઉપર પ્રસન્ન થાય છે.
અંબાજી મંદિરના દર્શનનો સમય
- સવારે મંગળા આરતી- 7:30થી 8
- સવારે દર્શન- 8થી 11:30
- રાજભોગ- 12 વાગે
- બપોરે દર્શન- 12:30થી 4:30
- સાંજની આરતી- 7થી 7:30
- સાંજે દર્શન- 7:30થી 9