બનાસકાંઠામાં આવેલા અંબાજીમાં પૂનમના દિવસે જ અંબાજી મંદિરમાં મોબાઈલના નિયમોની ઐસીતૈસી જોવા મળી છે. મંદિરમાં હાઈટેક સુવિધા અને અન્ય ઘણા સુવિધાઓના સાધનો હોવા છતાં મંદિરના પરિસર સુધી ભક્તો મોબાઈલ લઈને પહોંચ્યા કેવી રીતે તે પણ એક સવાલ છે.
મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં મોબાઈલ સાથે જોવા મળ્યા
7 નંબર ગેટ પર સઘન સુરક્ષાના સાધનો અને પોલીસ જવાનો પણ ખડેપગે હોવાં છતાં પણ મંદિરના પરિસર સુધી મોબાઈલ પહોંચ્યા છે, તે જોઈને નવાઈ લાગી રહી છે. ઝેડ કેટેગરીમાં આવતા અંબાજી મંદિરની સુરક્ષામાં આ મોટી ચૂક જોવા મળી છે. અંબાજી મંદિરનો ચાચર ચોક જાણે કે સેલ્ફી પોઈન્ટ બની ગયો હોય તેવા દ્રશ્યો આજે પરિસરમાં જોવા મળ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં મોબાઈલ સાથે જોવા મળ્યા છે. ત્યારે ઘણા ભક્તો તો રિલ્સ બનાવતા પણ જોવા મળ્યા છે.
મંદિરની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા
મંદિરના તમામ ગેટ ઉપર સુરક્ષા કર્મીઓ સુરક્ષા ઉપકરણો દ્વારા ચેક કરીને જ તમામ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપી રહ્યા છે તો આટલી મોટી સંખ્યામાં ભક્તો મોબાઈલ સાથે કેવી રીતે પહોંચ્યા તે એક સવાલ છે. તમને જણાવી દઈએ કે અંબાજી મંદિરમાં પોલીસ, બોર્ડર વીંગ, જીઆઈએસએફએસ, હોમગાર્ડ સહિતના સુરક્ષા કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. અંબાજી મંદિરના તમામ ગેટ ઉપર મેટલ ડિટેક્ટર પણ મુકવામાં આવેલા છે તો મોટી સંખ્યામાં ભક્તો કેવી રીતે મોબાઈલ સાથે મંદિરમાં પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે. ત્યારે જો કોઈ દેશ વિરોધી તત્વો પણ મંદિરમાં પહોંચી જાય તો લોકોની અને મંદિરની સુરક્ષાનું શું તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે.









