અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથક વિસ્તારમાં વધુ એક વખત સિંહના હુમલાનો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ જાફરાબાદ વિસ્તારની અંદર એક બાળકને સિંહણે ફાડી ખાધું હતું. આ વચ્ચે ફરી જાફરાબાદ પંથકમાં સાત વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી છે.
અમરેલી-જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે. સિંહણ બાળકીને લઇને દૂર ભાગી ગઇ હતી. ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાળકીના અવશેષો મળી આવ્યા છે. સિંહણના હુમલા બાદ વન વિભાગ હરકતમાં છે. સિંહણનું લોકેશન શોધવા કવાયત હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
ખાલસા કંથારીયા ગામની મહિલા પોતાની 7 વર્ષની પુત્રી સાથે વાડીથી પરત ફરી રહી હતી. તે દરમિયાન અચાનક સિંહણે બાળકી પર હુમલો કરી માતાની નજર સામે બાળકીને ખેતરમાં ખેંચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી, ગ્રામજનો, વન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શોધખોળ આદરી હતી. આખરે શોધખોળ દરમિયાન બાળકીના પગ મળી આવ્યા હતા. આ ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે, તેમજ સ્થાનિક રહીશોમાં વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાને લઇને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વન વિભાગના કર્મચારીઓ હાલમાં સિંહણનું લોકેશન ટ્રેક કરવા માટે કામગીરીમાં જોતરાઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે થોડા દિવસ પહેલાં જીકાદ્રી ગામમાં સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.
સિંહણને પાંજરે પુરવામાં વનવિભાગને મોટી સફળતા મળી
સિંહણને પાંજરે પુરવામાં વનવિભાગને મોટી સફળતા મળી છે. આખી રાત વનવિભાગના વિવિધ અધિકારીઓની ટીમોનું "મેગા ઓપરેશન" હાથ ધર્યું હતું. DCF જયન પટેલ સહીત ડોકટરોની ટીમોએ સિંહણને પકડવા આખી રાત કામગીરી કરી હતી. વહેલી સવારે સિંહણને ટ્રાન્કયૂ લાઈઝ કરી દબોસી લીધી છે. સિંહણને પાંજરે પુરી એનિમલ કેરસેન્ટરમાં ખસેડાયો છે.









