અમરેલીના ચિતલ-જસવંતગઢમાં નાયબ મામલતદારની માતાની હત્યામા ઘરનો જ ઘાતકી નીકળ્યો છે. પત્ની વારંવાર રિસામણે જતી હોય અને ત્યાં તેની માતા પત્નીને ચડામણી કરવાની શંકાએ ખેતીકામ કરતા જમાઈએ તિક્ષ્ણ હથિયારથી સાસુનું ગળુ કાપી હત્યા કર્યાનું ખૂલ્યુ છે. પોલીસે 14 ટીમો બનાવી 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી હત્યારા જમાઈને ઝડપી લઈ ભેદ ઉકેલી નાખ્યો છે.
જસવંતગઢ ગામે તા.29ના પ્રભાબેન તૈરૈયાની ઘરમાંથી તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપીને માથુ ધડથી અલગ કરેલી લાશ મળી આવી હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા અમરેલી એલસીબી, એસઓજી સહિત અલગ અલગ 14 અધિકારીઓની આગેવાનીમાં 14 ટીમો બનાવવામાં આવી હતી. આજુબાજુમાં 200થી વધારે સીસીટીવી ફૂટેજો ચકાસવામાં આવ્યા હતા. તેમાં દેખાતા શંકાસ્પદ શખસની શોધખોળ બાદ ખેતીકામ કરતો આરોપી નયન તુલજાશંકર જોષી (ઉ.વ.34 રહે. બાવાના જાંબુડા, તા. વિસાવદર, જિ.જૂનાગઢ)ની અટકાયત કરીને પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આ આરોપી મૃતકનો જમાઈ છે અને તેના પત્ની ઘણા વખત પોતાના માવતરમાં રિસામણે જતા રહેતા હતા અને પોતાના સાસુ તેને ચડામણી કરે છે તેમ લાગતા જમાઈએ સાસુની ધારિયા વડે આડેધડ ઘા મારીને હત્યા કરી હતી.










