- પોલિયો રસીકરણ માટે આવેલી મહિલાએ વૃદ્ધાનો જીવ બચાવ્યો
- 5 વર્ષના પુત્ર સાથે જતી રહેલી પુત્રીનો કોઈ અતોપતો નહીં
- પુત્રીનો મોબાઇલ પણ બંધ, અઘિટત ઘટના બન્યાની લોકોને આશંકા
કઠલાલ વિસ્તારમાં દોઢ મહિનાથી મકાનમાં બંધ વૃદ્ધાને મહિલા સોશિયલ વર્કરે પોલીસની મદદથી તાળું તોડીને બચાવ્યા હતા. પગે ચાલી ના શકતા વૃદ્ધાની હાલત એટલી ખરાબ હતી કે, તે પથારીમાં શૌચક્રીયા કરવા માટે મજબૂર બન્યા હતા. દસ દિવસનું કહીને પાંચ વર્ષના પૌત્રને લઈને નિકળેલી પુત્રી દોઢ મહિના સુધી પરત ના આવતા વૃદ્ધાની હાલત સતત ખરાબ થઈ ગઈ હતી. સરકારના પોલીયો રસીકરણ અભિયાનમાં ગયેલા મહિલા કર્મચારીએ જાણ કરતા મહિલા સોશિયલ વર્કર વૃદ્ધાને બચાવવા આગળ આવ્યા હતા. નિકોલ પોલીસની મદદ લઈને વૃદ્ધાના ઘરના દરવાજાનું તાળું તોડી તેઓના જમવાની વ્યવસ્થા કરાઈ હતી. બીજી તરફ લોકોને આશંકા છે કે, અગાઉ બે ચાર દિવસે ઘરે પરત ફરતી પુત્રી આ વખતે દોઢ મહિનાથી પરત નથી આવી તેનો મોબાઈલ ફોન નંબર પણ બંધ આવી રહ્યો છે. આ સ્થિતીમાં તેની સાથે અને તેના પાંચ વર્ષના પુત્ર સાથે કોઈ અઘટિત ઘટના બની હોઈ શકે છે.
નરોડામાં રહેતાં અને સોશિયલ વર્કર તરીકે એક્ટિવ એવા નિક્કીબહેન રાઠોડે જણાવ્યું હતું કે, મને મેસેજ મળતા હું સોસાયટીમાં પહોંચી હતી. પોલીસ કેસના ડરથી સ્થાનિક લોકોએ તાળું તોડી વૃદ્ધાને બહાર કાઢવાની ના પાડી હતી. આથી મેં નિકોલ પોલીસની મદદ લીધી હતી. પોલીસ સાથે મળીને અમે નિમિષાબહેન ઠાકરને મળ્યા ત્યારે સ્પષ્ટ થયું કે, તેમની પુત્રી તપસ્યાબહેન પાંચ વર્ષના પુત્રના લઈને કંપનીની ટૂરમાં જવાનું હોવાથી દસ દિવસમાં પરત ફરવાનું કહી નીકળી હતી. 7મી નવેમ્બરના રોજ ઘરેથી નિકળી, જે 20 ડિસેમ્બર સુધી પરત ફરી નથી. નિમિષાબહેનને અમે વૃદ્ધાશ્રામમાં શિફટ કરવાનું કીધું તેઓએ ત્યાં જવાની ના પાડી જણાવ્યું કે, મારી કોણ સેવા ચાકરી કરશે. મને એક મહિનાનું કરિયાણું લાવી આપો હું મારી રીતે જમવાનું બનાવીને દિવસો કાઢી લઈશ ત્યાં સુધી મારી દિકરી તપસ્યા આવી જશે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, નિમિષાબહેનના પતિ જિતેન્દ્રભાઈ ઠાકર છેલ્લા દોઢ વર્ષથી અમેરિકા રહે છે. જિતેન્દ્રભાઈ વિશે સોસાયટીના સંચાલકોને કોઈ જવાબ મળ્યો નથી.










