આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતાં ઢોરને પકડી ગણેશ ચોકડી નજીક રૂપાપુરા વિસ્તારમાં બ્રીજ નીચે આવેલા પાંજરાપોળ (ઢોર ડબ્બા)માં રાખવામાં આવે છે.


ત્રણ દિવસ અગાઉ આ ઢોર ડબ્બામાં 55 કરતાં વધુ ઢોર હતાં પરંતુ ગત 21મી તારીખના રોજ મધ્યરાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો આ ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને 52 જેટલી ગાયો છોડાવીને લઈ ગયા હતા. જેથી આણંદ મહાનગરપાલિકા તેમજ પોલીસ તંત્ર દોડતું થયું હતું. આખરે પોલીસે છ શખ્સોને ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે.આણંદ ટાઉન પોલીસે ટેકનીકલ સોર્સ, સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ ઢોર છોડાવી જનાર અર્જુન મનુભાઈ પરમાર (રહે. ચીખોદરા ચોકડી રાજોડ તલાવડી, ગીરનાર સોસાયટીની પાછળ, આણંદ), ભદ્રેશ ઉર્ફે ભયલુ કરશનભાઈ રબારી (રહે. પરીખભુવન, રબારીવાસ આણંદ), સતીશ રામજીભાઈ રબારી (રહે. જીગર સોસાયટી, ગામડી, આણંદ), સુજય યોગેશભાઈ પટેલ (રહે. ગોપાલ ચોકડી લાલજીની ચાલીમાં, આણંદ) દશરથ હેમરાજભાઈ રબારી (રહે. રગડી તલાવડી રબારીવાસ આણંદ) અને દશરથ ચરણભાઈ રબારી(રહે. ગણેશ ચોકડી, રૂપાપુરા, આણંદ)ના હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ તમામ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જેમાં આરોપી સુજય યોગેશભાઈ પટેલ આણંદ મહાનગરપાલિકામાં ઢોર પકડવાની કામગીરી કરતો હોવાનું અને તેણે જ ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાના લોકની ડુપ્લીકેટ ચાવી બનાવી અન્ય પાંચેય આરોપીઓ સાથે મળીને આ ગાયો છોડાવી હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે આણંદ ટાઉન પોલીસે પકડાયેલા તમામ છ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલ જણાવે છે કે, આણંદ મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારી હસ્તકમાં તા. 1-3-25 થી 20-3-25 સુધી છ અલગ અલગ પશુઓને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં આ પકડાયેલા આરોપીઓના ઢોર પણ હતા. આ ઢોર ડબ્બામાંથી પશુઓને છોડાવવા માટે પશુપાલકે રૂ. 2,500નો દંડ ભરવાનો હોય છે. આ દંઢ ભરવો ન પડે તે માટે આરોપીઓએ ઢોર છોડાવવાનો પ્લાન બનાવ્યો હતો. જેના ભાગરૂપે આ ઢોર પાર્ટીમાં જ ફરજ બજાવતા સુજલ પટેલ પાસેથી ડુપ્લીકેટ ચાવી બનાવી હતી અને ઢોર ડબ્બામાંથી ઢોર છોડાવી ગયા હતા. આ ગુનામાં તમામ છ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી જે જે વિસ્તારમાં ઢોર ગયા હતા તે વિસ્તારમાં સર્ચ કરી 35 જેટલી ગાયો રીકવર કરવામાં આવી છે.


  • Follow us on: