શિયાળાના પ્રારંભ સાથે કેટલીક શાળાઓ ચોક્કસ રંગ અને ડિઝાઈનના સ્વેટર પહેરવા માટે ફરજ પાડવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ચોક્ક્સ રંગના સ્વેટર પહેરવા શાળા ફરજ પાડી શકે નહીં તે માટે શાળાઓને સુચના આપવામાં આવી હોવા છતાં બોરસદની હનીફા ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કાળા રંગનું વી શેપનું સ્વેટર પહેરવા ફરજિયાત આદેશ આપતો પરિપત્ર વાલીઓને આપતા ચકચાર મચી જવા પામી છે.


[[$googlead]]

બોરસદની હનિફા ઈંગ્લિશ મિડિયમે વિદ્યાર્થીઓને કર્યો આદેશ

બોરસદની હનિફા ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના આચાર્ય દ્વારા ગત 24મી નવેમ્બરના રોજ વાલીઓને એક સર્કયુલર મોકલીને શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓએ કાળા રંગનાં વી શેપનું સ્વેટર ફરજિયાત પહેરવા જણાવ્યું છે, તેમજ આ કાળા રંગના સ્વેટર પર કોઈ લોગો, ડીઝાઈન કે રંગીન પટ્ટી ના હોવી જોઈએ, તેમજ ગરમ સ્કાફ, મફલર, ટોપી અને મોજા પણ કાળા કલરના હોવા જોઈએ તેમજ કોઈ પણ રંગના જેકેટ પહેરી શકાશે નહીં. તેમજ વાલીઓને આ દિશા નિર્દેશનું પાલન કરવા જણાવ્યું છે. શાળાના આચાર્ય હરીન્દર ધીલ્લોનની સહીથી આ સર્કયુલર વાલીઓને મોકલવામાં આવ્યું છે.

[[$alsoread]]

વાલીઓ સામે સ્કુલ સંચાલકોની દાદાગીરી

બોરસદની હનિફા સ્કુલના આચાર્ય હરિન્દર ધીલ્લોન રાજય સરકારના શિક્ષણ વિભાગના આદેશને ઘોળીને પી ગયા હોય તેમ છડેચોક તેઓએ માત્ર કાળા રંગના સ્વેટર પહેરાવનો આદેશ આપતો સર્કયુલર વાલીઓને મોકલ્યો છે, ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલા દિશા નિર્દેશ શું હનિફા સ્કુલને લાગુ પડતા નથી ? કે પછી હનિફા સ્કુલના આચાર્ય પોતાની મનમાની કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

પરિપત્રની કરાશે તપાસ: જિલ્લા શિક્ષણાધિકારી

આણંદના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.કામિની ત્રિવેદીએ જણાવ્યું હતું કે હનિફા સ્કુલમાં આ પરિપત્રની તપાસ કરવામાં આવશે અને કસુરવાર લાગશે તો નોટીસ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકારની સુચના અને આદેશ તેમજ પરિપત્રનો સરેઆમ ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓએ માત્ર કાળા રંગનું સ્વેટર પહેરવા દબાણ કરનાર શાળાનાં આચાર્ય સામે રાજ્ય સરકાર શું કાર્યવાહી કરે છે, તેના પર વાલીઓની નજર રહેલી છે. કેટલીક શાળાઓ રાજય સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી પોતાની મનમાની કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે.

ત્યારે રાજ્ય સરકારે આવી શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી રાજ્યમાં દાખલો બેસાડવો જોઈએ તેવી લાગણી વાલીઓમાં જોવા મળી રહી છે. હનિફા સ્કુલના આચાર્યની દાદાગીરી સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ ગભરાતા હોઈ ખુલીને બોલવા તૈયાર નથી, પરંતુ આ જાહેર પરિપત્રના આધારે રાજ્ય સરકાર આવી શાળાઓના આચાર્ય અને સંચાલકોની દાદાગીરી પર લગામ કશે તે જરૂરી છે.

  • Follow us on: