• રાસાયણિક કલરના બદલે અબીલ ગુલાલ-કેસુડાનાં ફૂલોની જબ્બર ડિમાન્ડ

  • બાગ-બગીચા, ફાર્મ હાઉસમાં ધુળેટી અંતર્ગત કાર્યક્રમો ગોઠવાયા
  • રંગોત્સવ મનાવવા માટે ખાસ કરીને યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો

રંગોત્સવ મનાવવા માટે ખાસ કરીને યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર સંગીત અને ધુળેટીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુવાનોથી લઇને અબાલવૃધ્ધોમાં આ પર્વની અનેરો મહિમા છે. ધુળેટીમાં આ વર્ષે માર્કેટમાં અવનવી પીચકારીઓથી ઉભરાયુ હતું. રાસાયણીક કલરથી લઇને અબિલ ગુલાલ અને કેસુડાના ફુલોની પણ માર્કેટમાં છેલ્લી ઘડીએ જબ્બર ડિમાન્ડ નિકળી હતી. ઉલલેખનીય છેકે, લોકો પહેલા કેસુડાના ફુલો અને ચંદનના રંગથી હોળી ખેલતા હતા. પરંતુ ત્યારબાદ ધીમેધીમે તેમાં રાસાયણિક કલરનો ઉપયોગ થવા લાગ્યો. પરંતુ રાસાયણિક કલર શરીરને નુકશાન કરતા હોવાથી હવે લોકો પુનઃ પરંપરાગત કેસુડાના ફુલ, ચંદનના રંગ તરફ વળ્યા છે.

સાથેસાથે અબિલ ગુલાલ પણ ઉમેરાયા છે. ધુળેટીનો તહેવાર ઉજવવા માટે યુવાધનમમાં થનગનાટ જોવામળી રહ્યો છે. આ તહેવાર વિશે વાત્સાયનના કામસુત્રમાં પણ ઉલ્લેખ જોવામળે છે. આ તહેવાર ઇસાથી 300 વર્ષ પુરાણો માનવામાં આવે છે. હોળી ધુળેટીના પર્વમાં શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસની રજા છે. જેથી મીનીવેકેશનના આ માહોલ વચ્ચે લોકોએ પર્વને ઉત્સાહપુર્વક ઉજવવા માટે બાગ બગિચા, સોસાયટીઓ તથા ફાર્મ હાઉસ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યા છે. ધુળેટીનો પર્વ મોજ મજા અને મસ્તીનો ગણાય છે. પરંતુ આ તહેવારમાં કોઇ આછકલાઇ ન કરે અને યુવતીઓની હેરાનગરી ન થાય તે માટે પોલીસ દ્વારા પણ આ દિવસે જાહેર સ્થળો અને બાગ બગિચા ખાતે બાજ નજર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, હોળી ધુળેટીનો તહેવાર માત્ર ભારતમાં જનહી પરંતુ વિદેશમાં પણ ઉજવાય છે. આ ઉત્સવ ભારત ઉપરાંત ચીન, ઇરાન, ફ્રાન્સ, ઇટાલી, શ્રીલંકા, થાઇલેન્ડ, અમેરિકા બર્મા જેવા દેશોમાં તેમની પરંપરા પ્રમાણે ઉજવવામાં આવે છે. અમેરિકામાં લોકો હોબોના નામથી પ્રચલિત પોશાક પહેરીને ઉત્સવ ઉજવે છે. બરમાં હોળીનો તહેવાર ચાર દિવસ ચાલે છે. ત્યાં તેચ્યામ નામથી જાણીતુ પર્વ છે. આ ચાર દિવસ લોકો અબીલ ગુલા સાથે સુગંધિત પાણી એકબીજા પર ઢોળીને ઉત્સવ ઉજવે છે. આ તહેવાર પ્રાચિન કાળથી મનાવવામાં આવે છે. વેદો પુરાણોમાં તેનો ઉલ્લેખ જોવામળે છે. કલર અને પીચકારી બજારમાં પણ છેલ્લી ઘડીએ ઘરાકી નિકળી હતી. લોકોની ખરીદી માટે લાઇનો લાગી હતી.કેટલાક તહેવારપ્રેમી યુવાનોએ તો આજે હોળીના દિવસે જ સાથેસાથે ધુળેટીની ઉજવણી કરી હતી. શહેરના મહાત્મા મંદિર ગાર્ડન સહિતના સ્થળોએ યુવાનો રંગોની મજા માણતા જોવા મળ્યા હતા. આવતીકાલે પણ આ સ્થળોએ રંગોત્સવ માટે માનવમહેરામણ ઉમટી પડશે. આ વખતે લોકોમાં રાસાયણિક કલરના બદલે અબિલ ગુલાલ, કેસુડાના ફુલ જેવા પ્રાકૃતિક રંગોની વધુ ડિમાન્ડ છે.

માર્કેટમાંથી ચાઇનીઝ પિચકારીઓ સહિતની ચીજવસ્તુ ગાયબ

અગાઉ કોઇપણ તહેવાર હોય એટલે, બજારમાં તે તહેવારને લગતી ચાઇનીઝ ચીજવસ્તુઓ જોવા મળતી હતી. ચાઇનાએ રમકડાથી લઇને ભારતના મોટાભાગની ઘરેલુથી લઇને મનોરંજનની ચીજવસ્તુઓનું માર્કેટ પોતાની પ્રોડક્ટથી સર કરી લીધુ હતું. જોકે, છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાનું સુત્ર આપ્યુ છે. જેની અસર બજારમાં મળતી ચીજવસ્તુઓ પર જોવા મળી રહી છે. એક સમયે માર્કેટમાં ધુળેટીની પીચકારીઓથી લઇને અન્ય ચીજવસ્તુઓ પર ચાઇનાનું વર્ચસ્વ જોવા મળતુ હતું. પરંતુ છેલ્લા બે વર્ષ અને તેમાં પણ આ વર્ષે માર્કેટમાં જે પીચકારીઓ સહિતની ચીજવસ્તુઓ જોવા મળી રહી છે તે મોટાભાગે મેડ ઇન ઇન્ડિયાની છે. ચાઇનાએ સર કરેલું બજાર સ્થાનિક ઉત્પાદકોએ તોડી નાખ્યુ હોય તેવુ ફલિત થઇ રહ્યુ છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર હોલિકા દહન કરાયું

ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે ઠેરઠેર હોલિકા દહન કરવામાં આવ્યુ હતું. પરંપરા પ્રમાણે સુર્યાસ્તપછી અને ચંદ્ર ઉદય પુર્વે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળીનું આરોગ્ય મામલે પણ અનેરૂ મહત્વ છે. કહેવાય છેકે, હોળીની જ્વાળાઓથી શરીરમાં થીજેલુ લોહિ ફરી સક્રિય બની જાય છે. હોળીની જ્વાળાઓના શેકથી રોગ પણ દુર થાય છે. ગાંધીનગરમાં સૌથી મોટી પાલજમાં હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળીના દર્શન કરવા અને તેની પ્રદક્ષિણા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ઠેરઠેર હોલિકા દહન કરવામાં આવ્યુ હતું.

  • Follow us on: