- કેપ્ટન પેટ કમિન્સ પહોંચ્યા રિવરફ્રન્ટ
- રિવરફ્રન્ટ ક્રુઝમાં ટ્રોફી સાથે કરાવ્યું ફોટો શુટ
- પેટ કમિન્સ અટલ બ્રિજની પણ મુલાકાત લેશે
ગઈકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતની હાર થઈ અને સાથે જ ઓસ્ટ્રેલિયા સતત છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હતું. ટીમે જીત બાદ રિવરફ્રન્ટ પર ઉજવણી કરી હતી.
શું કર્યું ઉજવણીમાં
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ પોતાની ટીમ સાથે રિવરફ્રન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. આ સાથે તેઓએ રિવરફ્રન્ટ ક્રુઝમાં ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવ્યું હતું. પેટ કમિન્સ અટલ બ્રિજની પણ મુલાકાત લેશે. આ સાથે ટીમના કેપ્ટને ગુજરાતી વાનગીઓનો ટેસ્ટ પણ માણ્યો હતો. જેમાં ખમણ અને ઢોકળા પણ સામેલ હતા. ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટનને ગુજરાતી નાસ્તો ખમણ અને ઢોકળા ખાધા હતા. કેપ્ટને ખમણ અને ઢોકળા હાથમાં લઈ અને તેઓએ ‘નાઈસ ટેસ્ટ’ તેવું કહ્યું હતું. આ સિવાય મળી રહેલી માહિતિ અનુસાર ટીમ બપોરનું ભોજન સાણંદ હાઈવે પર કલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં લેશે.
ટીમ ઈન્ડિયા માટે કરાયો હતો શુભેચ્છાઓનો વરસાદ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. દેશ અને વિદેશમાં પણ આ મેચને લઈને અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. એટલું જ નહીં અનેક મંદિરોમાં પણ ટીમ ઈન્ડિયાની જીત માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. બોલિવૂડના સેલેબ્સ સહિત પીએમ મોદીએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટેની શુભકામનાઓ પાઠવી અને તેઓ પોતે પણ ટીમનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં સામેલ રહ્યા હતા. આ સમયે ભારતીય ટીમે પૂરજોશમાં શરૂઆત કરી હતી. પરંતુ મેચના પરિણામની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને તેનું છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે.
આજે ભાારતીય ટીમ અમદાવાદથી રવાના થશે
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા અમદાવાદમાં ITC નર્મદા હોટલ રોકાઈ છે અને અહીં તેમના માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગઈકાલે ભારતીય ટીમની હાર બાદ હોટલ પર પણ પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને સાથે જ આજે ટીમ અહીંથી રવાના થવાના સમાચાર પણ આવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાની આઠમી હાર
છેલ્લા 10 વર્ષમાં ICC નોકઆઉટમાં ટીમ ઈન્ડિયાની આ આઠમી હાર છે. આ વર્ષે ભારતીય ટીમ સતત બીજી ICC નોકઆઉટ મેચ હારી છે. ઓસ્ટ્રેલિયાનું આ 10મું ICC ટાઇટલ હતું. આ હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિતના તમામ ખેલાડીઓ નિરાશ દેખાઈ રહ્યો હતો અને મેદાન છોડતી વખતે પોતાના આંસુ રોકી શક્યો ન હતો. આ સાથે જ હાર બાદ ભીડનો માહોલ બનતા સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.









