બનાસકાંઠા જિલ્લામાં અખાત્રીજ (અક્ષયતૃતીયા)ના દિવસે તથા અન્ય દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજમાં લગ્ન યોજાતા હોય છે. બનાસકાંઠા જિલ્લામ બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે.જેમા ખાસ બાળલગ્નો ન થાય તે માટે સમૂહ લગ્નના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ સર્વિસ વાળા, બેન્ડવાળા, ડી.જે.વાળા, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બંને પરિવારજનોને જણાવવાનું કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક તથા ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે પણ ગુનો બને છે.


જેલની થઈ શકે છે સજા
તથા આ કાયદા હેઠળ બે વર્ષની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને સાથે શિક્ષાપાત્ર બને છે.બાળ લગ્નના કારણે દીકરા દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી બને છે. આપના વિસ્તારમાં/ગામમાં કે મહોલ્લામાં બાળ લગ્ન ન થાય તેની તકેદારી રાખવી આપણા સૌ કોઈની સામાજિક જવાબદારી છે. આપને જો બાળ લગ્ન થતાં જોવા મળે તો બાળ લગ્ન અટકાવવા માટે સમાજસેવાના ભાગરૂપે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ફોન નંબર ૦૨૭૪૨- ૨૫૨૪૭૮, જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ફોન નંબર ૦૨૭૪૨ - ૨૫૧૮૦૦, ચાઈલ્ડ લાઈન ૧૦૯૮, મહિલા અભયમ ૧૮૧, પોલીસ ૧૦૦ સહિતના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવા જાહેર વિનંતી કરાઈ છે. બાળ લગ્નની જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેમ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી બનાસકાંઠાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
  • Follow us on: