અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગે જેસીબીના બદલે અન્ય વાહનો દર્શાવી સરકારને અધધધ કહી શકાય તેટલો રૂ. 79 લાખનો ચૂનો ચોપડયો હતો. જેનો ઓડીટમાં પર્દાફાશ થયા બાદ અરવલ્લીમાં ચકચાર મચી જવા પામી હતી.
આગામી સમયમાં આ કૌભાંડનો રેલો કેટલાય ભ્રષ્ટ અધિકારીઓના પગ નીચે આવી શકે છે. ત્યારે બીજી તરફ પંચાયત માર્ગ-મકાન વિભાગના અમુક ભ્રષ્ટ અધિકારીઓ હવાલાથી કટકીના રૂપિયા લેતા હોવાની લોકોમાં ચર્ચાઓ ઊઠતાં હડકંપ મચી ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી અરવલ્લી જિલ્લાને ભ્રષ્ટાચારી અધિકારીઓમાંથી મુક્તિ અપાવે તેવી માગણીઓ ઉઠી છે. અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગમાં દલા તરવાડીની નીતિ જોવા મળી રહી છે. અમુક ભ્રષ્ટ અધિકારીઓ રિંગણા લઉં બે-ચાર, ભાઇ લઈ લોને દસ-બાર જેવી નીતિ અખત્યાર કરી રહ્યા હોવાની ચર્ચાઓ ઊઠી રહી છે. લોકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ, માર્ગ-મકાન પંચાયતના બે ડિવીઝનની 50 મેજરમેન્ટ બુક (એમબી) ગૂમ કરી દેવામાં આવી છે. રોડ મરામતનાં કામ ક્યાં કેટલાં થયાં, કેટલા રોડ સાઇડ જંગલ કટિંગનાં કામો થયાં? તેની સ્થળ તપાસ કર્યા વિના એજન્સીઓને રકમ ચૂકવી દેવામાં આવી હોવાની ચર્ચાઓ ઊઠી રહી છે. જિલ્લા સેવા સદનમાં ચાલતી ચર્ચાઓ મુજબ, વગર કામો કર્યે 60 ટકા રકમ એજન્સીઓ- કોન્ટ્રાક્ટરોને ચૂકવી 40 ટકા રકમ અમુક ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સામાં સરકાવી લેતા હોવાની બૂમો ઊઠી છે. આ પ્રકારે છેલ્લા પાંચ-સાત વર્ષમાં જ આશરે રૂ. 7 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ જોરશોરથી ઊઠી રહી છે. લોકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ, ભ્રષ્ટ અધિકારીઓ હવાલાથી રૂપિયા લઈ રહ્યા છે. હવાલાથી રૂપિયા લેનારા અધિકારીઓ કોણ છે ? તેવા સવાલો જનતા ઊઠાવી રહી છે. ઈડી દ્વારા તપાસ કરવામાં આવે તો કૌભાંડી અધિકારીઓના હવાલા રેકેટનો ભાંડો ફૂટે તેમ છે.










