બહુચરાજી તાલુકાના ગામડાંઓમાંથી પસાર થતી નર્મદા કેનાલની માઇનોર કેનાલોમાં છેલ્લા બે મહિનાથી સિંચાઈ અર્થે પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલમાં રાત-દિવસ પાણી વહેતુ હોવાના કારણે કેનાલોમાં લીલના થર જામી ગયા છે. કેનાલોમાં શેવાળએટલી હદે જામી ગયો છે કે શેવાળથી વિશેષ કંઈ દેખાતું નથી.

શેવાળ પાણીની ગતિમાં પણ અવરોધરૂપ બનતા પાણી જે ગતિથી પસાર થવું જોઈએ, તે ગતિથી પસાર થતું નથી.બીજી તરફ કેનાલમાંથી પાણી ખેંચતા મશીનોમાં અને પાણીની પાઇપોમાં શેવાળ ઘુસી જતાં ખેડૂતો હાલાકીનો ભોગ બની રહ્યાં છે. તેમજ અંતરિયાળ છેડે પાણી ન પહોંચતા કેનાલમાંથી જાતે સફાઇ કરવા મજબૂર બની રહ્યાં છે. એક સામાન્ય નિયમ મુજબ કેનાલોમાં પાણી છોડતા પહેલાં સાઈફ્ન સહિત કેનાલોની સફાઇ કરવાનું ફરજિયાત છે. રાજ્ય સરકાર કેનાલોની નિભાવણી માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફળવે છે.અને સફાઇના નામે બહુ મોટા ખર્ચા પડી રહ્યાં છે, પરંતુ નર્મદા વિભાગ દ્વારા સફાઇના નામે માત્ર નાટકો ભજવાતા ખેડૂતોને જરૂરિયાત ટાણે હેરાન થવાનો સમય આવી રહ્યો છે.

કેનાલ, સાયફ્નમાં શેવાળ(લીલ)ના જામેલા થરની જીવંત તસવીર

બહુચરાજી તાલુકામાંથી પસાર થતી નર્મદાની માનાવાડા બ્રાન્ચ કેનાલની અને ઇન્દ્રપ તળાવના સાયફ્નની છે. જેમાં લીલ એટલી હદે જામી ગયેલી છે કે આ પાણીની કેનાલ છે કે બગીચો પહેલી નજરે ખબર જ ના પડે. લીલના કારણે પાણી અવરોધાતું હોઇ છેવાડા સુધી પહોંચતું નથી. અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગતના કારણે કેનાલ સફાઇના નામે લાખો રૂપિયાનો ખર્ચ ઉધારાય છે, પરંતુ અહીં કોઈ સફાઇ નહીં કરાતાં ખેડૂતોએ દેવગઢ માઈનોર કેનાલ અને તેના કૂવાઓમાં જામેલ લીલ જાતે સફાઇ કરવા મજબૂર બન્યા છે.