બનાસકાંઠની વાવ બેઠક પર પેટાચૂંટણીને લઈને હાલમાં માહોલ જામ્યો છે. આ બેઠક પર હાલમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાભરમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપીને અને નિવેદન આપતા કહ્યું કે બનાસકાંઠાનું સરવૈયું મારી પાસે હતું પણ બધું તમારી પાસે આવી ગયું છે.
CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાવાસીઓને કરી આ મોટી અપીલ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વરૂપજી ઠાકોરને મોટી લીડથી જીતાડવા અપીલ કરીને અને વધુમાં કહ્યું કે વડાપ્રધાન સૌને સાથે રાખીને કામ કરે છે. તમામ લોકોએ સાથે મળીને કામ કરવું હોય તો વચ્ચે ક્યાં બીજાની અવશ્યકતા રહે છે. આપણા દેશ પર બધાની નજર છે અને ભારતનો વિકાસ દર બધા દેશો કરતા આગળ છે. ભારત 7 ટકાના વૃદ્ધિ દરથી આગળ વધી રહ્યો છે. આપણું અર્થતંત્ર 11માં નંબરે હતું તેના પરથી હવે 5 અને હવે 3 નંબર પર આવવાનું છે.
ચૂંટણી જીત્યા કે હાર્યા પણ ભાજપ તમારી વચ્ચે જ રહ્યું: CM ભૂપેન્દ્ર પટેલ
બીજી તરફ આર્થિક વ્યવસ્થામાં ગુજરાત નાણાકીય વ્યવસ્થાપનમાં અગ્રેસર છે. આ સાથે જ મુખ્યપ્રધાને કહ્યું કે તમારા કામો અમારા સુધી પહોંચશે એટલે કામો થઈ જ જશે. તમારા કોઈ પણ ધારાસભ્યને પૂછી લેવાનું કે કામો અમારા સુધી પહોંચે તો અમે કામ તમારા સુધી પહોંચાડ્યા જ છે. ચૂંટણી જીત્યા કે હાર્યા પણ ભાજપ તમારી વચ્ચે જ રહ્યું છે. આ વર્ષે રામલલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે અને દેશમાં હવે 70 વર્ષથી વધુની ઉંમરના લોકોનું પણ આયુષ્યમાન કાર્ડ નીકળશે. દેશમાં સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રી લાવવાનો શ્રેય પણ વડાપ્રધાન મોદીને જાય છે.
વાવ પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ પર હર્ષ સંઘવીના પ્રહાર
બનાસકાંઠાના ડીસામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાવ પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના અનેક નેતાઓને છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસે લાડુ બતાવ્યા પણ છેલ્લે બાદબાકી કરી દીધી એટલે અનેક નેતાઓમાં કોંગ્રેસના હાઈ કમાન્ડ પર રોષ છે. આજ કોંગ્રેસ દ્વારા કેનલોનો વિરોધ કરવામાં આવતો હતો. ડીસા ખાતે ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા તૈયાર કરાયેલા અટલ જન સુવિધા કેન્દ્રની મુલાકાતે હર્ષ સંઘવી પહોંચ્યા હતા. આ દરમિયાન નિવેદન આપ્યું હતું.