ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં છઠ પૂજા દરમિયાન બાળક ગુમ થયાનો મામલો સામે આવ્યો હતો. ગુમ થયેલ બાળક અંગે પરિવારજનોએ અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરતાં બાળકનો મૃતદેહ પડોશીના જ ઘરમાંથી મળી આવ્યો. પડોશીએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પાડોશીએ બાળકના મૃતદેહને લોખંડની પેટીમાં બંધ કર્યો હતો. આરોપી આર્મીમાં ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી છે.
અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં ઘટના બની
અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં આઠ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાડોશીના મકાનમાંથી લોખંડની પેટીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. છઠપૂજાના દિવસે આઠ વર્ષનો બાળક ગુમ થયો હતો. પાડોશી એ જ બાળકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસે પાડોશીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ પૂછપરછ કરી રહી છે તે પાડોશી આર્મીમાં ફરજ બજાવતો હોવાની માહિતી બહાર આવી રહી છે. સમગ્ર મામલે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આજે સવારના સમયે ઘરમાં જ મૃતદેહોની જાણ થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારે આ મામલામાં પાડોશીની સંડોવણી છે કે અન્ય કોઈ વ્યક્તિએ બાળકની હત્યા કરી છે. તે સહિતની વિગતો મેળવવા ગ્રામ્ય પોલીસે તપાસનો માર્ગ શરૂ કર્યો છે.
પોલીસે આરોપી શૈલેન્દ્ર રાજપૂતની કરી ધરપકડ
CRPFના કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂતે હત્યા કરી હોવાનું બહાર આવ્યુ છે. શેરબજારમાં રૂ.5 લાખનું દેવું થઈ જતા બાળકના પિતા પાસે ખંડણી માગી હતી. બાળકને પટાવી ઘરમાં લઇ ગયા બાદ બાંધી દેતા તેનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું. પોલીસે આરોપી શૈલેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી. આરોપી મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતે CRPFમાં ફરજ બજાવે છે. રજા લઈ અંકલેશ્વર આવતા અપહરણ અને ખંડણીનો પ્લાન બનાવ્યો હતો. બાળકની હત્યા કર્યા બાદ શંકા ન જાય એ માટે પરિવારજનો સાથે જ રહી શોધખોળ કરી હતી.









