રાજ્યમાં સ્થાનિક ચૂંટણીને હવે ગણતરીના દિવસો ચાલુ છે, ત્યારે તમામ પક્ષોએ એકબીજા સામે આક્ષેપબાજી શરૂ કરી દીધી છે અને જીત મેળવવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિથી કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભરૂચના આમોદ ભાજપ તાલુકા પ્રમુખ ઉપર કોંગ્રેસે આચારસંહિતા ભંગ ના આક્ષેપ કર્યા છે.
કોંગ્રેસ હારે છે એટલે ખોટા આક્ષેપ કરે છે: મનસુખ વસાવા
બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કોંગ્રેસ હારે છે એટલે ખોટા આક્ષેપ કરે છે. ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યા છે તો બતાવવા પડે, કોંગ્રેસના લોકો ખોટું બોલી રહ્યા છે કે કામ નથી કર્યા. કોંગ્રેસ પાસે વિકાસના કામો કર્યા છે એનું લિસ્ટ હોય તો બતાવે તેવું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આચારસંહિતા ભંગ થઈ હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકરણ ગરમાયું
આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ યુથ કોંગ્રેસના કેતન મકવાણા તેમજ આમોદ તાલુકાના કેટલાક ગામોના સરપંચો સાથે આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ કલેક્ટરને અને પ્રાંત અધિકારી જંબુસર, ચૂંટણી અધિકારી ગાંધીનગર, મામલતદાર આમોદ તેમજ તાલુકા વિકાસ અધિકારી આમોદને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચાર સહિંતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખને આવાસ યોજનાની સનતની કોપી આપી છે.
તાલુકા વિકાસ અધિકારીએ શું આપ્યો જવાબ
તમને જણાવી દઈએ કે આમોદ બેઠકના સદસ્યનું 2 વર્ષ પહેલા નિધન થતાં આમોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ધમધોકાર ચાલી રહ્યો છે. જેના કારણે આચારસંહિતા હોવા છતાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજનાની સનતની ઝેરોક્ષ કાઢીને આપેલી હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરેલી છે અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા જણાવ્યું કે આમોદ તાલુકાના ઈટોલા ગામે પણ ટાવરનું કામ ચાલુ કરવામાં આવેલું છે, જે માટે તાલુકા વિકાસ અધિકારીને પૂછતાં જણાવ્યું કે જેની સત્યતાની તપાસ કરીશું.
શું અધિકારીની છે સંડોવણી?
આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખના નિવેદન મુજબ તાલુકા પંચાયતના કર્મચારી તેમજ અધિકારીની સ્પષ્ટપણે સંડોવણી હોય એમ જણાય છે, જેથી આવા કર્મચારી અને અધિકારીને તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો ઓફિસની બહાર ધરણા પ્રદર્શ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની રહેશે એમ લેખિતમાં જણાવ્યું છે.









