ભરૂચના વાગરા તાલુકાના વજાપરા વિસ્તારમાં ચાલતી માટી ખનનની પ્રવૃતિ પર દરોડો પાડી 18 ડમ્પર અને 2 એકસવેટર મશીન સહિત રૂપિયા 5.02 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શનિવારે સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવેલી કામગીરી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલી હતી.
ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ!
હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહ્યું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે, તેની વિગતો હજુ સુધી બહાર આવી શકી નથી. ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. શુકલતીર્થમાં નર્મદા નદીમાં 3 લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ ગેરકાયદેસર રેતી ખનન બાદ હવે માટી ખનન સામે તંત્રએ તવાઈ બોલાવી છે.
સ્થળ પરથી 18 ડમ્પર સહિત 5.02 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો
ભુસ્તરશાસ્ત્રી રચના ઓઝા તથા તેમની ટીમે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટુ કૌભાંડ ઝડપી પાડયું છે. સવારે 10થી રાતના 8 વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી. સ્થળ પરથી 18 ડમ્પર સહિત 5.02 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે. સ્થળ પરથી મળેલા ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી હતી પણ હજુ સુધી ચોક્કસ વિગતો તંત્રને મળી શકી નથી.
માટી ખનન કોણ કરાવી રહ્યું હતું તેની તપાસમાં તંત્ર જોતરાયું
માટી ખનન માટે મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ? માટી ખનન થઈ રહ્યું હતું તે સરકારી જગ્યા છે કે ખાનગી? સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. હાલ તો વાહનો કબજે કરી માટી ખનન કોણ કરાવી રહ્યું હતું તેની તપાસમાં તંત્ર જોતરાયું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યમાં રેતી ખનનના અનેક સામે આવી ચૂક્યા છે અને ખનન માફિયાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.









