ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહજીએ શંકરસિંહ વાઘેલા સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે, હું મારા પરિવાર અને મારા પૂર્વજોના નામે રાજનીતિ નહીં કરું અને મને લઈને જે સમીતિની રચના કરવામાં આવી છે તેમાં રાજકારણ ના થવું જોઈએ.
સમીતિ કેવી રીતે બની એ બાબતે શરુઆતથી વાત કરતા યુવરાજએ જણાવ્યું કે, 20 તારીખે જે સમીતિનું સંગઠન બન્યું છે એની શરુઆત ક્યાંથી થઈ એ વાત કરવી છે. 31 મે, 2024 પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શીવાબાપા તરીકે ઓળખાતા હતા, એમનું દુ:ખદ અવસાન થયું હતું. 6 દિવસ પછી એટલે કે 5મી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો. કે મારા શીવાબાપાના પરિવારને મળવું છે. અને સ્વાભાવિક છે કે શંકરસિંહ વાઘેલા શીવાબાપાને ઓળખતા હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા. મને લાગ્યું કે, બાપુ આવે છે અમારા માટે સારુ રહેશે, સમાજના એક વડીલ છે, અનુભવી વ્યક્તિ છે, આ સમયમાં એમનો સહારો મળે આ સમયમાં એ સારી વાત છે. બાપુ આવ્યા ત્યારે એમની સાથે અન્ય સમાજના વ્યક્તિ આવ્યા હતા. મને આશ્ચર્ય છે કે, આવા સમયમાં શીવાબાપાનું બારમું પણ થયું ન હતું. આપણે સંસ્કારી માણસો છીએ, પરિવારમાં કોઇનું અવસાન થાય બારમા સુધી આપણે બીજી વાત નથી કરતાં, ત્યાં જઈને આપણે શોક વ્યક્ત કરીએ છીએ. ત્યારે પમી જૂને સવારે નીલમબાગ હોટલ પાસે બાપુ આવ્યા હતા. અને આ સમીતિની વાત અને પ્રમુખ સ્થાને મને બેસાડવાની વાત કરી હતી.
અમે દુ:ખમાં હતા અને બાપુએ રાજકારણની વાત કરી: યુવરાજ
વધુમાં જયવિરરાજસિંહએ જણાવ્યું કે, મેં બાપુને પુછ્યું કે આનું કારણ શું છે, કારણ કે અમે બધા અત્યારે શોકમાં છીએ અત્યારે દુ:ખથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે બાપુએ મને કહ્યું કે, કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાથે જે મુદ્દો થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઉભી થઈ હતી. બાપુએ કહ્યું કે, આ એકતા ચાલુ રહેવી જોઈએ. સ્વાભાવિક વાત છે કે એકતા કાયમ રહેશે. એના માટે કંઈ આપણે દર અઠવાડીયે આંદોલનની જરૂર નથી. બાપુએ કહ્યું કે, આ સમીતિ રાજકીય નથી પણ જેમ ભારતીય જનતા પાર્ટીની સંસ્થા આરએસએસ છે એવી રીતે જ આપણે આ સંસ્થા શરુ કરવા માંગીએ છીએ અને તમને લઈને યુવાનોને જોડવા માંગીએ છીએ.
સાચો ક્ષત્રિય રક્ષક છે: જયવીરરાજસિંહ ગોહિલ
ભાવનગરના જયવીરરાજસિંહ ગોહિલે તેમના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ. હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓ એ પોતાના સમુદાય માટે શિક્ષણ, નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે અને હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય.
રાજપૂત એકતા અનિવાર્ય છે પરંતુ આ એકતાનો ઉપયોગ ક્ષુદ્ર રાજનીતિથી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ, સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત છે. સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે.









