ભાવનગર શહેરની મધ્યમાં આવેલ અને લોકોને હરવા ફરવા માટેનું સ્થળ એટલે ગંગાજળિયા તળાવ, જો કે જેવું નામ છે તેવા ગુણ તંત્ર એ રહેવા દીધા નથી, આ તળાવમાં ગંગાજળના બદલે ગટરના જળ હોય તેવું લાગે છે.હાલ આ તળાવ ગંદકીનું સ્થળ બની ગયું હોય જેના કારણે તળાવમાં ગંદકીના કારણે અસંખ્ય જીવોના મોત થઈ રહ્યા હોય તેને લઈને પક્ષીપ્રેમી અને જીવદયા પ્રેમીઓમાં પણ રોશ જોવા મળી રહ્યો છે.

[[$googlead]]

રાજવી પરિવારે બનાવ્યું હતુ તળાવ
ભાવનગરના દીર્ઘદ્રષ્ટા રાજવી પરિવાર દ્વારા ભાવનગરની જનતાને પીવાના પાણી માટે તેમજ હળવા ફરવા માટે ભાવનગર શહેરમાં બે તળાવો બનાવવામાં આવ્યા હતા. જેમાં બોર તળાવ તેમજ ભાવનગર શહેરની મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવ.રાજવી પરિવાર દ્વારા જે તે સમયે આ વિસ્તારના લોકોના ઘરોમાં કુવા અને બોરના તળ ઊંચા રહે અને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આ તળાવનો નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તળાવના કાંઠે જ રાજવી પરિવાર દ્વારા તાજમહેલની પ્રતિકૃતિ ગંગા ડેરી પણ બનાવવામાં આવેલી જોકે હાલ આ તળાવ મહાનગરપાલિકા હસ્તક છે.



લીલ જોવા મળી તળાવમાં
સફાઈના અભાવને લઈ પાણીમાં લીલ જમા થઈ છે અને અસહ્ય દુર્ગંધ આવી રહી છે જેના કારણે રાહદારીઓને પણ ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.કોંગ્રેસના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે ગંગાજળીયા તળાવની સફાઈનું કામ કોઈ ભાજપનો કાર્યકર કરતો હશે એટલા માટે જ કોન્ટ્રાકટર ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆતની પણ કોઈ નોંધ લેવામાં નથી આવતી.ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 14 કરોડ કરતાં વધુ રકમ ખર્ચ કરી અને ગંગાજળિયા તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું. લોકો બહારગામથી મુખ્ય બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય ત્યારે લોકો ગંગાજળિયા તળાવના બગીચામાં હરીફરી શકે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરી અને તળાવનું બ્યુટીફિકેશન કરાયું, જોકે લોકોને હરવા ફરવાની વાત તો એક બાજુ રહી પરંતુ તળાવમાં જે પ્રમાણે ગંદકી જામી છે તેના કારણે લોકો આજુબાજુ માંથી પસાર થતા પણ વિચાર કરે છે.



ગંદકીના થર જામ્યા
તળાવમાં 90% વિસ્તારમાં ગંદકીના થર જામી ગયા છે, લીલી વનસ્પતિ ઊગી જવાના કારણે અને ગામ આખાનો કચરો તળાવમાં ઠાલવવામાં આવતો હોય જેના કારણે તળાવ ગંદકીનું તળાવ બની ગયું છે. ગંદકીના કારણે તળાવમાં રહેલી જીવ સૃષ્ટિ નષ્ટ પામી રહી છે અને આ જીવો પર નિર્ભર એવા દેશી અને વિદેશી પક્ષીઓ પણ મોતને ભેટી રહ્યા છે.ભાવનગરનો આ વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં શિયાળા અને ઉનાળાના સમય દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન માટે આવતા હોય છે. અને આ તળાવમાં રહેલી માછલી સહિતના જીવો પર તેઓ નિર્ભર હોય છે.

તળાવમાં માછલીઓના મોત
તળાવમાં માછલીઓ ટપોટપ મરી રહી છે તેમજ તળાવનું ગંદુ પાણી અને આ વિદેશી પક્ષીઓ પણ મોતને ભેટી રહ્યા છે. ત્યારે જવાબદાર લોકોના પેટનું પાણી પણ હલતું નથી તેવો આક્રોશ પક્ષી પ્રેમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. પક્ષી પ્રેમીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તળાવની સાફ-સફાઈ ના નામે મહાનગરપાલિકામાં દર મહિને લાખો રૂપિયા ના બિલો ઉધારી દેવામાં આવે છે પરંતુ ખરેખર સફાઈ થતી નથી જો આવું હોય તો તેની ઊંડી તપાસ પણ થવી જોઈએ.શહેરની મધ્ય માં આવેલ અને ભાવનગર શહેર ની હાર્દ સમાન ગણાતું ગંગાજળીયા તળાવ હાલ સફાઈ ના અભાવે પ્રદુષિત થઈ ગયું છે ત્યારે મનપા ના અધિકારી તેમજ શાસકો આ અંગે યોગ્ય સફાઈ કરાવી લોકો ને સુવિધા નો લાભ મળે તેવું આયોજન કરવું જોઈએ તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.
  • Follow us on: