- અમદાવાદના બરવાળામાં તાલુકામાં આવેલુ છે ભીમનાથ મહાદેવ મંદિર
- ભીમનાથ ગામે નીલકા નદીના કાંઠે પાંચ હજાર વર્ષ પૌરાણિક મંદિર
- પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિરનો છે અનોખો ઈતિહાસ
અમદાવાદ તાલુકાના બરવાળા ગામે ભીમનાથ મહાદેવ મંદિર આવેલુ છે.હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારો ભાવિકો દર્શને ઉમટી પડે છે ત્યારે આજે શ્રાવણ માસના સોમવારે ભીમનાથ મહાદેવ મંદિર હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠયું હતું અને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી તો મંદિર વહીવટી વિભાગ દ્વારા ભાવિકો માટે લાડુ અને ભોજન પ્રસાદનું વિશેષ આયોજન કરાયું હતું.
પાંડવકાલીન સમયનું મંદિર
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે પૌરાણિક ભીમનાથ મંદિર આવેલું છે. આ મંદિર પાંડવકાલીન સમયનું છે, ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના વિશેષ દિવસ એવા સોમવાર ના દિવસે વહેલી સવારથી જ દૂર દૂર થી મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શને ઉમટયા હતા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભીમનાથ મહાદેવ મંદિરના ઈતિહાસ વિષે વાત કરી તો ભીમનાથ મહાદેવ મંદિર જે પાંચ હજાર વર્ષ પહેલાં જયારે પાંડવો વનવાસમા હતા ત્યારે અર્જુનને શીવની પૂજા કર્યા બાદ ભોજન કરવાની પ્રતિજ્ઞા હતી.

છે પૌરાણિક ઈતિહાસ
જંગલમા ક્યાંય શીવ મંદિર જોવા ન મળ્યું ત્યારે ભીમ ને ભુખ લાગેલ માટે તેણે એક શીવ આકારનો પથ્થર જાળના ઝાડ નીચે મૂકી તેની પર પુષ્પો ચડાવી અર્જુન ને કહેલ કે અહી શીવ છે અને હમણાં કોઈએ પૂજા કરી હોય તેવુ લાગે છે ત્યારે અર્જુને બાજુમાં આવેલી નિલકા નદી માથી પાણી લાવી શીવની પૂજા કરી અને ત્યાર બાદ બધા ભોજન કર્યું હતું ભોજન કર્યા બાદ ભીમે કહ્યુ કે એ તો મે પથ્થર મુકેલ તેમ કહી પથ્થર પર ગદા મારતા શીવ પ્રગટ થયા અને દુધનો અભિષેક થયો અને હજુ પણ લિંગ 2 ભાગમાં વહેંચાયેલુ દેખાય છે ત્યારથી ભીમનાથ મહાદેવ નામ પડ્યું છે.
નીલકા નદીના કિનારે આવેલુ મંદિર
નીલકા નદીના કિનારે આવેલું સિદ્ધપીઠ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે બારે માસ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે, ત્યારે હાલ શ્રાવણ માસ દરમિયાન પણ વિશેષ લાડુ પ્રસાદ સાથે ભોજનની વ્યવસ્થા કરાઈ છે જેમાં રોજ 300 થી વધુ બ્રાહ્મણો માટે બ્રહ્મ ભોજન અને ચોર્યાસી કરાઈ છે સાથે જ 4 હજારથી વધુ ભાવિકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું, મહાદેવજીના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો પસાદ લઈને પાવન થાય છે.

અહી લોકમેળો પણ યોજાય છે
મંદિર ખાતે શ્રાવણ માસ દરમ્યાન સાતમ-આઠમ, પૂનમ અને ખાસ કરીને સમગ્ર પંથકનો સૌથી મોટો એવો ભાદરવી અમાસના દિવસે ભાતીગળ લોકમેળો યોજાય છે, આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભીમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા છે અને હર હર મહાદેવ ના નાદ થી ભીમનાથ મહાદેવ મંદિર ગાજી ઉઠયું અને ભાવિકોએ પવિત્ર શ્રાવણ માસ અને એમાં પણ વિશેષ સોમવાર ના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું.









