અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ DIG નિર્લિપ્ત રાયને સોંપવામા આવી છે. મહત્ત્વનું છે કે, હજુ ગઈકાલે જ અમરેલી SP સંજય ખરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરતા કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા, મહિલા પોલીસકર્મી હીનાબેન મેવાડાને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે હવે આ સમગ્ર મામલાની તપાસ SMCના વડા DIG નિર્લિપ્ત રાયને આ સમગ્ર લેટરકાંડ મામલાની તપાસ સોંપવામાં આવી છે.
ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.
પાયલ ગોટીના આક્ષેપો બાદ SITની કરાઈ હતી રચના
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જેમાં Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા, મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી હતી. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટેની માગ કરી હતી. તેમજ પોલીસે દીકરીનું સરઘસ કેમ કાઢવા અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરાય તેને લઈને ખુલાસો માગવામાં આવ્યો. તમામ 200 જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચિમકી પણ ઉચ્ચારી હતી.









