ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા છેતરપિંડીનો ભોગ બન્યા. BJP કાઉન્સિલર પરાક્રમ સિંહ જાડેજા જમીન વેચવાને લઈને ફ્રોડનો શિકાર થયા.શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષે જ પરાક્રમસિંહ જાડેજા સાથે લાખોની છેતરપિંડી કરી. પૂર્વ અધ્યક્ષે જમીનનું વેચાણ કરવાને લઈને BJP કાઉન્સિલર પરાક્રમ સિંહ સાથે સોદો કર્યો હતો. પરંતુ આ સોદામાં જમીન માલિકના ફોટાએ ભાંડો ફોડતા સમગ્ર હકીકત સામે આવી.ભાજપના જ રાજમાં ભાજપ આગેવાન સાથે લાખોની છેતરપિંડી થતાં સામાન્ય લોકોથી લઈને કાર્યકરોમાં પણ સવાલ ઉઠ્યા છે.
ફોટાએ ખોલ્યો ભેદ
શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષએ જમીનના વેચાણના નામે પરાક્રમસિંહ જાડેજા પાસેથી 21 લાખ પડાવ્યા. સુખલીપુરાની જમીન વેચવાના નામે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાજપના સભ્ય દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજાએ કાવતરું રચ્યું. બંનેએ જમીન માલિકની ખોટી સહી કરી દસ્તાવેજ બનાવી આપ્યો. ખોટી સહીના દસ્તાવેજના આધારે 1.45 કરોડમાં સુખલીપુરાની જમીનનો સોદો કર્યો. વેચાણ દસ્તાવેજ પર ચોંટાડેલા મૂળ માલિકના ફોટોગ્રાફે શંકા ઉપજાવી હતી. જેના બાદ મામલાની તપાસ કરતાં છેતરપિંડી થયાની જાણ થઈ.
પોલીસમાં ફરિયાદ
કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. સમા પીઆઇએ ફરિયાદને પગલે તપાસ કરતાં રજીસ્ટર કચેરી પાસે દસ્તાવેજ કરાયો હતો તે સમયના વિડિયો ફૂટેજ ની ચકાસણી માટે માંગ કરી છે. ભાજપના જ સભ્ય દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજે જમીન માલિકની ખોટી સહી કરી દસ્તાવેજ બનાવી ભાજપના જ કાઉન્સિલર પરાક્રમ સિંહ જાડેજા સાથે છેતરપિંડી કરતાં પક્ષમાં ફૂટ હોવાનું દેખાય છે. પોલીસ ફરિયાદ બાદ જમીન પચાવી પાડવાના કાવતરાંમાં દિલીપ અને કમલેશ સિવાય અન્ય કોઈની સંડોવણી હોવાને લઈને વધુ તથ્યો બહાર આવી શકે છે. ભાજપમાં આતંરકલહ વધ્યો છે. પક્ષના કાઉન્સિલર સાથે પક્ષના સભ્યો લાખોની છેતરપિંડી કરી કઈ વાત સાબિત કરવા માંગે છે તે આગામી દિવસોમાં સામે આવશે.









