ગુજરાત સરકારનું પશુપાલન ખાતું તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત પશુ દવાખાના દ્વારા બોટાદ જિલ્લામાં ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામના લાલજીભાઈ પડસરીયાની ગીર ગાય છેલ્લા ૧ વર્ષથી શિંગડાના ભાગે હોર્ન કેન્સર જેવી ગંભીર બિમારીથી પીડાતી હતી.લાલજીભાઈ દ્વારા સરકારશ્રી નિ:શુલ્ક હેલ્પ લાઈન ૧૯૬૨ પર ફોન કરી ટાટમ એમ્બ્યુલન્સના ડોક્ટરનો સંપર્ક સાધ્યો હતો અને ગાયના ઓપરેશનનો સમય અને તારીખ નક્કી કરાયા હતા.
પશુને લઈ હરતુ ફરતું દવાખાનું
જે મુજબ લાઠીદડ ફરતું પશુ દવાખાના અને ટાટમ ફરતા પશુ દવાખાનાની ટીમમાં ડો. હરપાલસિંહ ગીડા, ડો. હરેશ ચાવડા અને તેમની ટીમમાં કાર્યરત પાઈલટ કમ-ડ્રેસર કપિલ ગઢવી અને સુધીરભાઈ દ્વારા સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ટીમ દ્વારા બે કલાક ચાલેલી સર્જરીમાં ગાયને મોટી રાહત આપવામાં આવી હતી.મેડિકલ ટીમ દ્વારા પશુપાલકને દર બે દિવસે ડ્રેસિંગ કરવા માટે સલાહ આપવામાં આવી આવી છે. ગુજરાત સરકાર તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત પશુ દવાખાનું અને જિલ્લાના પશુ પાલન ખાતાનો પશુપાલકે આભાર માન્યો હતો.
પશુપાલનને લઈ અનેક યોજનાઓ
પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 31.10.2024 સુધી ખુલ્લું મૂકવામાં આવે છે. જે અન્વયે એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨% વ્યાજ સહાય, એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨% વ્યાજ સહાય, એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨% વ્યાજ સહાય, પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના, રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના, સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના માટે પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે.