અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ તપાસ તેજ કરી દેવાઈ હતી. આ કેસમાં AAIBએ તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલી આપ્યો છે. અમદાવાદમાં થયેલી આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા હતાં. આ ઘટના બાદ એર ઈન્ડિયાના બોઈંગ વિમાનોની તપાસ માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ બાદ 26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી હતી.
26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી હતી
અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ DGCA દ્વારા ઉડાન પહેલા બોઇંગ 787-8/9 વિમાનની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાના બોઇંગ 787-8/9 વિમાનની તપાસમાં 33 માંથી 26 વિમાનોની તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ 26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી હતી.
મૃતકના પરિવારજનને વળતર
એર ઈન્ડિયા દ્વારા 20 જૂન 2025થી વચગાળાનું વળતર પરિવારજનોને ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં અત્યાર સુધીમાં 3 પરિવારોને વળતરની ચુકવણી કરવામાં આવી છે અને બાકીના તમામ ક્લેમની પ્રક્રિયા પણ ચાલુ છે.આ સિવાય ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલી 1 કરોડ રૂપિયાની મદદ માટે પણ એર ઈન્ડિયા ઘાયલ થયેલા લોકો અને જીવ ગુમાવનારા લોકોના પરિવારોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકોને વહેલામાં વહેલી તકે આર્થિક મદદ ચૂકવી દેવામાં આવશે.
કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોપાયા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ જણાવ્યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોપાયા છે. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા છે. અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઇ ચુકી છે. 254 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 241 પેસેન્જર અને 13 નોન પેસેન્જર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.










