ગ્રાહકોની બાબતોના કેન્દ્રિય મંત્રાલય દ્રારા પેમેન્ટ ટ્રાન્ઝક્શન ફી અંગેના એક પ્રસ્તાવને જો મંજૂરી આપવામાં આવશે તો ક્રેડિટ કાર્ડ સ્વેપ કરીને થતી ખરીદીની તુલનાએ યુપીઆઇ કોડ સ્કેન કરીને થતી ચુકવણીના માધ્યમથી થતી ખરીદી સસ્તી પડશે. સરકાર દ્રારા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ સિસ્ટમથી જે કોસ્ટ બેનિફિટ થાય છે તેનો લાભ ગ્રાહકોને આપવા માટેની આ દરખાસ્ત પર વિચારણા કરી રહી છે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી.


સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ દરખાસ્ત અંગે ગ્રાહકોની બાબતોના કેન્દ્રિય મંત્રાલયના અધિકારીઓ ટુંક સમયમાં જ નાણાકીય ક્ષેત્રના હિતધારકો સાથે ચર્ચા વિચારણા કરી તેમના સુચનો મેળવશે. જ્યારે પણ કોઇ વ્યક્તિ દ્રારા ક્રેડિટ કાર્ડ સ્વેપ કરીને ચુકવણી કરવામાં આવે છે ત્યારે સંબંધિત ચીજવસ્તુ વેચનાર વેપારીને ક્રેડિટ કાર્ડ જારી કરનારી બેંકને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) તરીકે ઓળખાતા 2થી 3 ટકા જેટલા ચાર્જની ચુકવણી કરવી પડે છે. મોટા ભાગના વેપારીઓ આ ચાર્જને ગ્રાહકો પર પાસ ઓન કરતાં નથી અને આ બોજો પોતે જ ઉઠાવે છે.

ઉદાહરણ તરીકે જોઇએ તો જો ક્રેડિટ કાર્ડથી રૂ.100ની ચુકવણી કરવામાં આવે તો વેપારીને રૂ. 98 જ મળે છે, કારણ કે તેને રૂ. 2નો ચાર્જ ક્રેડિટ કાર્ડ જારી કરનારી બેંકને ચુકવવો પડે છે. યુપીઆઇથી ચુકવણી થાય એવા કિસ્સામાં વેપારીને કોઇ ચાર્જ ચુકવવો પડતો નથી કારણ કે તેની પર એમડીઆર જેવો ચાર્જ લાગતો નથી. હવે ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં આ બન્ને ચુકવણી વચ્ચે આવકની રકમમાં તફાવત હોવા છતાં યુપીઆઇથી ચુકવણી કરનારને કોઇ લાભ અપાતો નથી. રિટેલ આઉટલેટમાં કેટલાક કિસ્સામાં વેપારીઓ ક્રેડિટ કાર્ડ પર લાગતો ચાર્જ ગ્રાહકો પર પાસ ઓન કરે છે, પરંતુ ઇ-કોમર્સ પર તો બન્ને પ્રકારની ખરીદીમાં એક જ ચાર્જ લાગે છે. આથી સરકાર હવે યુપીઆઇથી ચુકવણી કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડની ખરીદી પર જે એમડીઆર લાગે છે તેટલું ડિસ્કાઉન્ટ ગ્રાહકને આપવામાં આવે એવી પ્રથા અમલી બનાવવા માગે છે. જો આ નિયમ અમલી બનશે તો ઇ-કોમર્સમાં થતી ખરીદી પર તો યુપીઆઇથી ચુકવણી કરનારાને ચોક્કસપણ લાભ થશે.


  • Follow us on: