અમદાવાદમાં 70 બ્રિજ પર લગાવવામાં આવેલા સીસીટીવી માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. કારણ કે તે ઈન્સ્ટોલ તો કરી દીધા છે, પરંતુ તેમાં ઈન્ટરનેટ કે પાવર સપ્લાય નહીં હોવાના કારણે કેમેરા માત્ર દેખાડા પૂરતા રહ્યા છે. અમદાવાદ શહેરના કોઈપણ રોડ હોય સીસીટીવી કેમેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભાગના કેમેરા બંધ હાલતમાં છે તો 70 બ્રિજ એવા છે જ્યાં કેમેરા બંધ હાલતમાં છે, આ 70 બ્રિજ પૈકી 40 બ્રિજ પર કેમેરા લગાવી દેવામાં આવ્યા છે, જે બંધ હાલતમાં છે.
શહેરના 70 ટકા ટ્રાફિક સિગ્નલ એવા છે જેમાં કેમેરા બંધ હાલતમાં
બ્રિજ પર જે સીસીટીવી બંધ છે તેનું કારણ એ છે કે સીસીટીવી માટે પાવર સપ્લાય અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી નહીં હોવાના કારણે બંધ હાલતમાં છે તો 30 બ્રિજ એવા છે, જેમાં કેમેરા હજુ સુધી લગાવવામાં આવ્યા નથી. આશરે 6 માસથી આ 40 બ્રિજ પર કેમેરા માટે પાવર સપ્લાય અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવશે, એવી વાતો કરવામાં આવી રહી છે પરંતુ તે માત્ર કાગળ પર છે, ત્યારે 70 ટકા ટ્રાફિક સિગ્નલ એવા છે જેમાં કેમેરા બંધ હાલતમાં છે. સીસીટીવી બંધ હોવાના કારણે વાહન ઓવર સ્પીડમાં જાય તો તેના મેમો બની શકતો નથી.
શહેરના કોઈ બ્રિજ પર બનાવ બન્યો તો નહિ મળી શકે બનાવના પુરાવા
બીજી તરફ સીસીટીવી કેમેરા ના હોવાના કારણે અથવા બંધ હોવાના કારણે જો કોઈ અકસ્માત સર્જાય તો પુરાવા એકત્ર થઈ શકતા નથી. ચોમાસામાં પાણી ભરાય તો પણ તેની જાણ તંત્રને થતી નથી. આવા અનેક કારણો છે, જેના માટે સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કર્યું હતું, પરંતુ તે માત્ર કાગળ પર જ છે, તંત્ર કહી રહ્યું છે કે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. વાતો તો સ્માર્ટ સિટીની કરવામાં આવે છે પરંતુ સ્માર્ટ સિટી માત્ર હાલ તો કાગળ પર હોય તેવું ફલિત થઈ રહ્યું છે. ત્યારે લોકોની સુરક્ષા માટે સીસીટીવી પણ વધે તે જરૂરી છે.