- વાહન ચાલકો અને રાહેદારીઓને પોતાના હાથે લાડુ ખવડાવ્યા
- શહેરમાં સોસાયટી, બંગલામાં બપોરે વિશેષ આરતી, સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ શરૂ
- લોકો ઘરે રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ટીવી પર પ્રસારણ નિહાળી રહ્યાં છે
અયોધ્યમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પર્વની સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર ફટાકડા ફોડી અને મીઠાઇ વહેંચી ઉજવણી થઇ રહી છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં અયોધ્યમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પર્વની ખુશીમાં લાડુ વિતરણ કરી ઉજવણી કરી છે.
વાહન ચાલકો અને રાહેદારીઓને પોતાના હાથે લાડુ ખવડાવ્યા
લોકોને રસ્તામાં રોકીને લાડુ આપ્યા છે. તેમજ વાહન ચાલકો અને રાહેદારીઓને પોતાના હાથે લાડુ ખવડાવ્યા છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં રામ મહોત્સવ ઉજવાયો છે. જેમાં જય શ્રી રામના નારાથી નગરદેવીનું મંદિર ગુંજયું છે. ભદ્રકાળી મંદિરને નગરજનોએ અવધનગરી બનાવી છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આરતીમાં હાજર રહ્યાં છે. તથા AMCના સતાધીશો મહા આરતીમાં હાજરી આપી ગર્વ અનુભવી રહ્યાં છે.
શહેરમાં સોસાયટી, બંગલામાં બપોરે વિશેષ આરતી, સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ શરૂ
શહેરમાં સોસાયટી, બંગલામાં વિશેષ આરતી, સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ થઇ રહ્યાં છે. સમગ્ર અમદાવાદમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળ્યો છે. સમગ્ર શહેર રામમય બની ગયું છે. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીના કારણે વેપારીઓને તડાકો પડયો છે. મહોત્સવમાં બાળકો હોય કે મોટા સૌ કોઈ રામમય બનીને આ ઉત્સવ ઉજવી રહ્યાં છે. શહેરની સોસાયટીઓ, ઘરો, ઓફ્સિોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને રોશની કરવામાં આવી છે. શહેરમાં ફરી દિવાળી આવી હોય તેવો માહોલ જામ્યો છે. સોસાયટીઓ, પોળ વિસ્તારમાં લોકો ભેગા થઈને તોરણ અને પ્રસાદી બનાવી છે. લોકોએ પોતાના વાહનોમાં રામ, હનુમાનની ધજા અને કેસરી ઝંડા લગાવ્યા છે. જયશ્રી રામના સતત નારા સંભળાઈ રહ્યા છે.
લોકો ઘરે રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ટીવી પર પ્રસારણ નિહાળી રહ્યાં છે
બપોર સુધી રજાનો માહોલ હોવાના કારણે લોકો ઘરે રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ટીવી પર પ્રસારણ નિહાળી રહ્યાં છે. સોસાયટી, ફ્લેટ, ટેનામેન્ટ, બંગલા, મહોલ્લામાં રામ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવને ઉજવવા આયોજન શરૂ થયા છે. બપોરે પ્રતિષ્ઠા વખતે આરતી, પૂજા, અર્ચના કરવામાં આવી છે.









