- ચંદ્રખુરીમાં કૌશલ્યા મંદિરમાં રામ ભગવાનની 50 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત છે
- અયોધ્યાની જેમ રામના મોસાળ ચંદ્રખુરીમાં માતા કૌશલ્યના મંદિરનું થઇ રહ્યું છે રી-ડેવલપમેન્ટ
- મોસાળમાંથી માટી અને ચોખા અયોધ્યા મોકલાયા
આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન રામના જન્મથી લઈને તેમના જીવનકાળ અને તેમના જીવન સાથે જોડાયેલી તમામ બાબતોની ચર્ચાઓ થઇ રહી છે. જોકે, આમાં રામના મોસાળ અંગે ભાગ્યેજ કોઈ ચર્ચા થાય છે. પુરાણોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે હાલ છત્તીસગઢ આવેલું ચંદ્રખુરી એ રામ ભગવાનના માતા કૌશલ્યાનું પિયર માનવામાં આવે છે. છત્તીસગઢના પાટનગર રાયપુરથી લગભગ 25 કિમી અયોધ્યાથી આશરે 751 કિમી દુર આવેલા રામના મોસાળ ચંદ્રખુરીમાં માતા કૌશલ્યના મંદિરનું રી-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ સાથે જ રાજ્ય સરકારે અને પુરાતત્વ વિભાગે વનવાસ દરમિયાન ભગવાન જે રસ્તે પસાર થયા હતા તેવા 75 જગ્યાઓની ઓળખ કરી છે અને તે વિસ્તારને વિકસિત કરવાની પણ યોજના છે.
છત્તીસગઢ ટુરિઝમ બોર્ડના મેનેજીંગ ડિરેક્ટર જીતેન્દ્ર કુમાર શુક્લાએ જણાવ્યું કે, મહાનદીના કિનારે આવેલા ચંદ્રખુરી અને શિરપુર એરિયાને માતા કૌશલ્યાનું જન્મસ્થળ માનવામાં આવે છે. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. ચંદ્રખુરીમાં માતા કૌશલ્યાનું મંદિર પહેલાથી જ આવેલું છે. આ મંદિરમાં ભગવાન રામની 50 ફૂટ ઉંચી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. લોકોને અયોધ્યા વિષે અને રાજા દશરથ વિષે ઘણી જાણકારી છે પણ રામના મોસાળ અંગે બહુ ઓછા લોકોને જાણકારી છે. રાજ્ય સરકાર ટુરિઝમ અને આર્કિયોલોજીકલ દ્રષ્ટિકોણથી આ જગ્યાને ડેવલપ કરી રહી છે. રાજ્ય સરકારે શિરપુર અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી છે અને તેની હેઠળ 35 ગામોનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે જ્યાં વિકાસ કામો કરવામાં આવશે. પૌરાણિક ઉલ્લેખ પ્રમાણે વનવાસ દરમિયાન ભગવાન રામ શ્રીપુરના જંગલોમાંથી પસાર થયા હતા અને અમુક સમય રોકાણ પણ કર્યું હતું. આ જગ્યા અત્યારે શિરપુર તરીકે ઓળખાય છે. પુરાતત્વ વિભાગે કરેલા ખોદકામમાં 1600 વર્ષ જુના લાલ ઈંટોમાંથી બનેલા મંદિરો મળી આવ્યા હતા. તે સમયે ઈંટોને જોડવા માટે આયુર્વેદિક પેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતમાં ઈંટો ઉપર નકશીકામ થયું હોય તેવું આ એકમાત્ર મંદિર છે. શિરપુરમાં આવેલું લક્ષ્મણ ટેમ્પલ તેમનું એક છે જે અત્યારે પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર સમલપુરિયા અને સુખદેવરાજના સમયમાં રાણી વાષ્ટાએ તેમના પતિ હર્ષવર્ધનની યાદમાં 6ઠી સદીમાં બનાવ્યું હતું. આ મંદિરને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.










