પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જ દિશામાં આગળ વધતા, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તાજેતરમાં રાજ્યના 21 જિલ્લાના 50 તાલુકામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બરે દર વર્ષે ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વાંચનના આનંદની ઉજવણી કરવાનો છે અને લોકો વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તેને લઈ તેમને પ્રોત્સાહિત કરવાનો છે.
આદિજાતિ વિસ્તારો માટે પુસ્તકાલયોને મંજૂરી
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકોમાં પણ વાંચન પ્રત્યે રસ ઉભો થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તે ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જેના પરિણામે, ગુજરાતના દરેક આદિજાતિ તાલુકાના તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો 100 ટકા લાભ મળે.
સરકારી ગ્રંથાલયો ગ્રામીણ વિસ્તારોમાં પણ શરૂ કરવાનો નિર્ણય
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ પુસ્તકાલયો શરૂ કરવા માટે રાજ્ય સરકારે વિચાર કર્યો અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારે સમાજના વાંચન રસિક નાગરિકોને જાહેર ગ્રંથાલયની સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે ચાલુ વર્ષે રાજ્યમાં વધુને વધુ ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્થાપનાથી લઈને આજ દિન સુધીમાં એક સાથે એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથાલયને મંજૂરી આપવાનો આ ઐતિહાસિક નિર્ણય છે.
જાહેર ગ્રંથાલયો માટે સહાયક ગ્રાન્ટ અંગેની નીતિ
સામયિકો, આલેખો, પુસ્તકો અને સચિત્ર શિક્ષણના સાધનો દ્વારા લોકોમાં વાંચનને લઈને રસ ઉભો થાય અને જ્ઞાનનો પ્રચાર થાય તે ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં જાહેર ગ્રંથાલયની સ્થાપના અને વિકાસ થાય તે માટે જાહેર ગ્રંથાલય માટેની માન્યતા તથા સહાયક ગ્રાન્ટ અંગેની નીતિ પણ નક્કી કરવામાં આવી છે. વર્ષ 2023-24થી સરકાર તરફથી ચૂકવવામાં આવતી ગ્રાન્ટમાં અનુદાનિત ગ્રંથાલયોને લોકફાળામાંથી મુક્તિ આપી 100 ટકાના ધોરણે અનુદાનમાં વધારો કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
ગ્રંથાલયોને પહેલા જે 25 ટકા લોકફાળો ભરવો પડતો હતો, તેમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવશે. આ સિવાય ગ્રંથાલયોના પ્રકાર, જેમકે વિશિષ્ટ ગ્રંથાલય, શહેર ગ્રંથાલય, મહિલા અને બાળ ગ્રંથાલયો અને ગ્રામ ગ્રંથાલયો વગેરેના આધારે અનુદાનના દરમાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. રાજ્યમાં વધુને વધુ અનુદાનિત ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન કરાયેલ છે.
સ્વ. મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડના પુરસ્કારની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો
રાજ્યના અનુદાનિત ગ્રંથાલયોની સેવાઓને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી ચાલતી સ્વ. મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર માટેની યોજનામાં વિજેતા ગ્રંથાલયો અને વિજેતા ગ્રંથાલયોના ગ્રંથપાલોને આપવામાં આવતા પુરસ્કારની રકમમાં પણ 50 ટકાથી વધુ રકમનો વધારો સરકાર દ્વારા કરાયો છે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં પ્રજ્ઞાચક્ષુ ગ્રંથાલયો અને વિશિષ્ટ ગ્રંથાલયોની કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.