મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સર્વધર્મ પ્રાર્થનામાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃત કાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે.અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે.


આજે છે ગાંધી જયંતિ
સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનનો વિચાર આપ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ એ જ સ્વરાજ્ય ને સુરાજ્યમાં પલટાવી અંત્યોદયથી સર્વોદયનો મંત્ર સાર્થક કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પૂજ્ય મહાત્મા ગાંધીજીના અંત્યોદયના મંત્ર સાથે ગરીબો, ખેડૂતો, યુવાનો અને નારી વિકસિત ભારતના ચાર સ્તંભ ને પણ સશક્ત કર્યા છે.



પ્રાર્થનાનું અનોખું મહત્વ
ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરુ મહત્વ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ સુધ્ધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. કીર્તિ મંદિર આવીને વિશ્વભરમાંથી લોકો સર્વ ધર્મ પ્રાર્થના ના માધ્યમથી નવું બળ મેળવે છે એમ પણ તેમણે કહ્યું હતું.મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા 10 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું જે દેશભરમાં ઘર ઘર સુધી પહોંચ્યું અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી.સ્વચ્છતા એ જન ભાગીદારીનું કાર્ય છે અને એ આપણે સાર્થક કર્યું છે.આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચારમૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

મહાનુભાવો રહ્યાં હાજર
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે, રાજ્યશાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂજ્ય મહાત્મા ગાંધીજી વિશ્વને ચીંધ્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આપેલા દર્શનનો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે. પૂજ્ય બાપુના દર્શન અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શનને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે.



ગાંધીજીના માર્ગે ચાલશો તો સુખી થશો
આપણે પણ મહાત્મા ગાંધીએ ચિંધેલા રાહ પર આગળ વધી ભારતને વિકસિત ભારત બનાવીએ તેમ જણાવ્યું હતું.આ અવસરે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુખ્યમંત્રીશ્રીને પ્રિય એવો ચરખો અર્પણ કર્યો હતો.કીર્તિ મંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં પાણી પુરવઠા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઇ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગરપાલીકા પ્રમુખ ચેતનાબેન તિવારી, પૂર્વ મંત્રીબાબુભાઈ બોખીરીયા, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, રીયર એડમિરલ સતીશ બાસુદેવ,કલેકટર એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, રેન્જ આઇજી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, અગ્રણી રમેશભાઈ ઓડેદરા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઊપસ્થિત રહી પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરકારી શાળાના શિક્ષકોના કલાવૃંદ દ્વારા ખૂબ જ ભાવમયી રીતે સર્વધર્મ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી
  • Follow us on: