અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક આરોપીઓ દ્વારા તલવાર/ છરી/ ચપ્પુ/ ગુપ્તી લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરી ખૂન, ખૂનની કોશિષ તેમજ મહાવ્યથાના ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા હોય છે.આમ, અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ગુનાઓમાં ગેરકાયદેસર હથિયારો દ્વારા અમુક કિસ્સાઓમાં શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોવાનું ધ્યાને આવેલ છે તેને અટકાવવા માટે જાહેરનામું બહાર પાડયું.


શહેરમાં શાંતિ જાળવવા જાહેરનામું પ્રસિદ્ધ

શહેરમાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ આરોપીઓ ગંભીર ગુનાને અંજામ આપતાં અટકે અને ભયમુકત વાતાવરણ બની રહે, લોકોના જાનમાલનું રક્ષણ થાય, જાહેર જગ્યામાં ગેર-બંદોબસ્ત અટકે, બિભત્સ ભાષા અને વ્યવહાર તેમજ ઉશ્કેરણીજનક ભાષણોથી સુરૂચિ ભંગ થવાના તેમજ ગુનાહિત કૃત્યો થવાની સંભાવનાને નિવારવા જાહેર જગ્યામાં ગેર-બંદોબસ્ત અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે સારૂ આવા હથિયારો તથા આવા કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.

પોલીસ કમિશનર પાસે છે ખાસ હક

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ (૧) અન્વયે મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૧૪/૦૯/૨૦૨૪ના રાત્રીના 12 કલાકથી તા.૨૮/૦૯/૨૦૨૪ના સુધી જાહેરનામાનો અમલ કરવામા આવશે,જે પણ વ્યકિતઓ આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કડક પગલા ભરવામાં આવશે.


કઈ વસ્તુઓ પર પ્રતિંબંધ રહેશે

1-શસ્ત્રો, તલવાર, ભાલા, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઇપણ જાતના ચપ્પુ જે અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની અને તેવી બીજી કોઇ ચીજો લઈ જવા પર પ્રતિબંધ.

2- પરવાનાવાળા હથીયારો લઈ જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા તેમજ સામાજિક મેળાવડા, ધાર્મિક સરઘસ કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવા ઉપર પ્રતિબંધ.

3- કોઇપણ ક્ષયધર્મી (શરીરને હાનિકારક) અથવા સ્ફોટક પદાર્થ લઇ જવા પર પ્રતિબંધ.

4- પથ્થર અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરી શકાશે નહી

5- સળગતી કે પેટાવેલી મશાલ સરઘસ સાથે રખાશે નહી.

6- વ્યક્તિ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી

7- જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવા તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા ફેલાવો કરવાથી, સુરૂચિ અથવા પ્રતિષ્ઠાનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વિગેરે કરવાની અને તેવા ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની. દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવો નહી

આ જાહેરનામું આ વ્યક્તિઓને લાગુ પડશે નહી

1- સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીઓએ આવા કોઇપણ હથિયાર સાથે લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેમને.

2-સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે, સંગીન વગેરે સાથે રાખવા પડતા હોય તેમને.

3-આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.


  • Follow us on: