વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.26ના રોજ દાહોદમાં ખરોડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રેલવે સહિત વિવિધ વિભાગોના રૂા. 24હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે.દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા રૂા.21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ - રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ - ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ - હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી - બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફ્કિેશન અને કલોલ - કડી - કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ રૂા.2287 કરોડના કામો સહિત રેલવેના કુલ રૂા.23,692 કરોડના કામોનું લોકાર્પણ કરશે. વડા પ્રધાન દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે.
મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં સાવલી - ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, કાયાવરોહણ - સાધલી માર્ગ, જરોદ - સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા - રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ રૂા.581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત મહીસાગર જિલ્લાના બાલા સિનોરમાં અમૃત 2.0 અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂા.26 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવાની સાથે છોટાઉદેપુર જિલ્લામા રૂા.26 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારેજ બ્રિજ તેમજ રૂા.73 કરોડના ખર્ચે એલ.સી 65 ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કરશે. આમ રૂા.706 કરોડના વિવિધ સાત વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.










