દાંતીવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધો. 8ના વિદ્યાર્થીઓને માર મારવાના મામલે તાલુકા શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત લઈ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે શનિવારે ગ્રામજનોએ શાળાએ પહોંચી વિદ્યાર્થીઓને માર મરનાર શિક્ષક સામે કડક પગલા લઇ સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
હાલમાં વિદ્યાર્થીઓને માર મરનાર શિક્ષક અશોક ચૌધરી મેડિકલ રજા ઉપર ઉતરી ગયા છે. દાંતીવાડા ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા સ્મિત યોગેશ પટેલ સહિતના વિદ્યાર્થીઓને અશોક ચૌધરી નામના શિક્ષકે રૂમમાં પૂરી લાકડાની સ્ટીકથી ફ્ટકારતા ભારે ચકચાર મચી ગઇ હતી. જે બાદ વાલીઓએ ભારે હોબાળો મચાવી શિક્ષક સામે કાયદાકીય પગલાં ભરવા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી વિદ્યાર્થીઓને સારવાર અર્થે સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાઇ હતી. વિદ્યાર્થીઓને મારથી શરીર પર લોહીના સોળ પડી ગયા હતા. જ્યારે એક વિધાર્થીને લાકડીના મારથી આંગળી પર લોહીના ટશિયા ફૂટી ગયા હતા. બનાવના પગલે એસએમસી અધ્યક્ષ સહિત ગામના આગેવાનો પણ શાળામાં પહોચી ગયા હતા અને ગામ લોકો સાથે શિક્ષક સામે પગલાં ભરવાની ચર્ચા કરવામાં આવી હતી.










