મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના કવર્ધા જિલ્લા તંત્રના અધિકારીઓ,પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ પ્રતિનિધિમંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત મોડલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં ઇનોવેશન અને અસરદાર યોજનાકીય અમલના વ્યાપ અને વિસ્તરણ માં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ નિરીક્ષણ માટે એક સપ્તાહની ગુજરાત મુલાકાતે આવેલું છે.


બાયસેગની મુલાકાતથી ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો છે

છત્તીસગઢના કવર્ધા જિલ્લા વહીવટી તંત્રની આ ટીમમાં કબીરધામ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ-પ્રમુખ ઉપરાંત 12 જેટલા ખેડૂત પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારના અધિકારીઓ સહિતના સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતે બાયસેગ(BISAG)ની મદદથી રાજ્યમાં જે જી.આઈ.એસ.(GIS) બેઇઝ ટેકનોલોજી યુક્ત ગ્રામીણ વિકાસ આયોજન અને નવાચાર અપનાવ્યા છે તેનાથી સુપેરે માહિતગાર થવા આ ડેલીગેશને બાયસેગની મુલાકાતથી ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો છે.

સેચ્યુરેશન લેવલના અમલથી વિકાસનું રોલ મોડલ બન્યું

એટલું જ નહિં, રાજ્યમાં શેરડી પાકના વિકાસ માટે પણ બાયસેગ ઉપયોગી થયું છે તેની વિગતો અને બેસ્ટ પ્રેક્ટિસીસનું આ પ્રતિનિધિ મંડળ અભ્યાસ નિરીક્ષણ પણ કરવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ પ્રતિનિધિ મંડળની મુલાકાત બેઠક દરમિયાન તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત ટેકનોલોજી ડ્રિવન ગવર્નન્સ અને લોક કલ્યાણ અને વિકાસ યોજનાઓના અસરકારક તથા સેચ્યુરેશન લેવલના અમલથી વિકાસનું રોલ મોડલ બન્યું છે.

ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અંગે આભાર વ્યક્ત કરીને મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્નથી સન્માનિત કર્યા હતા

છત્તીસગઢ પ્રતિનિધિ મંડળના સભ્યોએ પણ ગુજરાતની આ નવતર વિકાસ પ્રણાલીની સફળતા વિશે જાણવામાં રસ દાખવ્યો હતો. છત્તીસગઢ રાજ્યનું આ પ્રતિનિધિ મંડળ તેના સાપ્તાહિક પ્રવાસ દરમ્યાન આણંદ એન.ડી.ડી.બી.(NDDB)ની મુલાકાત કરીને ડેરી વિકાસ, બાયોગેસ પ્લાન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ઇન્સ્ટિટ્યૂશનલ એક્સપોઝરની વિસ્તૃત જાણકારી મેળવવાનું છે. આ ઉપરાંત, બારડોલીની સુગર ફેકટરીની મુલાકાત લઈને શેરડી પાક ઉત્પાદન અંગે ફિલ્ડ વિઝીટ, ખાંડસરીમાં શેરડી પ્રોસેસિંગ, બેસ્ટ પ્રેક્ટિસીઝ અને ખાંડસરી એકમોના ઓપરેશન્સથી વાકેફ થશે. છત્તીસગઢ પ્રતિનિધિ મંડળના સૌ સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અંગે આભાર વ્યક્ત કરીને મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્નથી સન્માનિત કર્યા હતા. 

  • Follow us on: