આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, આખરે 20 કરતા વધુ વર્ષ બાદ ભાજપે દિલ્હીમાં સત્તા મેળવી છે અને દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને સત્તામાંથી હાંકી કાઢી છે. ત્યારે દેશભરમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ આ જીતની ઉજવણી કરી રહ્યા છે.
શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે કાર્યકરોએ કરી ઉજવણી
ત્યારે દિલ્હીમાં ભાજપની જીત બાદ અમદાવાદમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ઉજવણી શરૂ કરવામાં આવી છે અને શહેરના સાંસદ, ધારાસભ્યો અને સંગઠનના અનેક હોદ્દેદારો આ ઉજવણીમાં હાજર છે અને ઢોલ વગાડી, ફટાકડા ફોડીને કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દિલ્હીની 70 સીટમાંથી ભાજપે 48 સીટ પર ભગવો લહેરાવ્યો છે અને આમ આદમી પાર્ટીએ 22 સીટ પર જીત મેળવી છે, ત્યારે કોંગ્રેસ સતત ત્રીજી વખત દિલ્હીમાં એક પણ સીટ જીતી શકી નથી.
વડાપ્રધાન મોદીએ જીત બાદ કરી પોસ્ટ
વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં થયેલી ઐતિહાસિક જીત પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે 'મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી, હવે અમે અમારા દિલ્હીવાસીઓની સેવા વધુ મજબૂતીથી કરવા માટે સમર્પિત રહીશું.' વધુમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ નરેન્દ્ર મોદીની ગેરંટીનું પરિણામ છે. દિલ્હીના લોકોએ આજે રાહતનો શ્વાસ લીધો છે.
જુઠ્ઠ અને લૂંટની રાજનીતિ પર પૂર્ણવિરામ: CM યોગી આદિત્યનાથ
CM યોગીએ કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણી અને મિલ્કીપુર પેટાચૂંટણીના પરિણામોએ જુઠ્ઠાણા અને લૂંટની રાજનીતિ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. આ છેલ્લા 11 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોનો વિજય છે. હું દિલ્હીમાં જીતેલા તમામ ઉમેદવારોને અભિનંદન આપવા માગુ છું. હું પીએમ મોદી, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 2.5 દાયકાના અંતરાલ પછી ભાજપને સત્તામાં પરત લાવવા બદલ અભિનંદન આપું છું.