- ભાવનગરના કોળિયાકના દરિયાકાંઠે ભક્તો ઉમટ્યા
- નિષ્કલંક મહાદેવના દરિયામાં સમુદ્ર સ્નાનનું મહત્વ
- ભક્તો સમુદ્ર સ્નાન અને દર્શન કરવા ઉમટી પડ્યા
ભાવનગરમાં દરિયાકાંઠે આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા ભકતો ઉમટી પડયા છે.આ દિવસે દરિયામાં સ્નાન કરવાનું અનોખું મહત્વ છે.ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે ભાદરવી અમાસનો મેળો યોજાય છે.આજના દિવસે નિષ્કલંક મહાદેવના દરિયામાં સમુદ્ર સ્નાનનું છે મહત્વ.ગુજરાત અને ભારત ભરમાંથી લોકો અહીંયા આવે છે સમુદ્ર સ્નાન અને દર્શન કરવા.કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પૌરાણિક મંદિર
સૌરાષ્ટ્રમાં યોજાતા લોક મેળામાં ભાવનગરના કોળીયાકનો મેળો ખુબ જ જાણીતો અને પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ પરંપરાગત મેળો દર વર્ષે ભાદરવી અમાસના દિવસે ભરાય છે.નિષ્કલંક મહાદેવનું મંદિર પૌરાણિક તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ યાત્રિકોમાં અનેરા આકર્ષણનું કેન્દ્ર બને છે.શિવલિંગ સમુદ્રમાં આવેલું હોવાથી માત્ર ઓટના સમયે જ તેના દર્શન થઇ શકે: દર વર્ષે યોજાતા લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.આ મંદિર નિષ્કલંક મહાદેવ તરીકે કેમ ઓળખાય છે શું છે તેનો ઇતિહાસ.

મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા
હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા. તેઓએ કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવના શિવલિંગની સ્થાપના કરીને વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. જેનાથી યુધ્ધમાં કરેલી હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળે અને તેઓ કલંકીતમાંથી નિષ્કલંક થયા હતા. તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. પાંડવોએ સ્થાપેલી પાંચ શિવલીંગ અહીં હાલ મૌજુદ છે.
દરિયામાં ઓટના સમયે જ કરી શકાય છે શિવલિંગના દર્શન
આ શિવલિંગ સમુદ્રમાં આવેલું હોવાથી દરિયામાં ઓટ આવે તે સમયે જ તેના દર્શન કરી શકાય છે. દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસના દિવસે અહીં પરંપરાગત લોકમેળો ભરાય છે. જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ દિવસે નિષ્કલંક મહાદેવના મંદિર ઉ૫૨ (બાવન) ગજની ધજા ચડાવવામાં આવે છે. તેમજ અહી મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરીને ભગવાનના દર્શન તથા પૂજા અર્ચના કરે છે.

સમુદ્રની લહેરો નિષ્કલંક મહાદેવના પાંચેય શિવલિંગ પર કરે છે જળાભિષેક
નિષ્કલંક મહાદેવ મંદિર દરિયા વચ્ચે આવેલું છે. અહીંયા રોજ સમુદ્રની લહેરો પાંચેય શિવલિંગ પર જળાભિષેક કરે છે. ભક્તો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવના મંદિરમાં જઈને દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે.
મંદિર પર ચડાવાયેલો ધ્વજ મંદિરના મહોત્સવના દિવસે જ બદલવામાં આવે છે
આ મંદિર પર ચડાવાયેલો ધ્વજ ૩૬૪ દિવસ સુધી યથાવત રહે છે. માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ તેને બદલવામાં આવે છે. તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રનાં મોજામાં ખેંચાઈ પણ જતો નથી. સમુદ્રની વચ્ચે આવેલા આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે.હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી સ્વજનોના અસ્થિ વિસર્જન અહીં કરવાથી તે મૃતક વ્યક્તિની મોક્ષની પ્રાપ્તિ થાય છે.









