- રાજનેતાઓ ભાન ભૂલી બેફામ વાણી વિલાસ બંધ કરે: ગીતાબા
- તલવાર મ્યાનમાં છે પરંતુ વોટ શસ્ત્રનો ઉપયોગ કરીશું : ગીતાબા
- રાજકીય રોટલા શેકવા માટે રાજપૂતોનું અપમાન: ગીતાબા
કોંગ્રસના નેતા પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના આગેવાન નેતા ગીતાબાએ નિવેદન આપ્યું છે તેમણે રાજપૂત સમાજને લઈને રાજકારણ રમવાનું બંધ કરવા માટે રાજકીય નેતાઓને સલાહ આપી છે.
ગીતાબાએ રાજપૂતો પર રાજનીતિ બંધ કરવાની સલાહ આપતા કહ્યું છે કે રાજનેતાઓ દ્વારા ભાન ભૂલીને કરવામાં આવતા બેફામ વાણી વિલાસ બંધ કરવામાં આવે. ગીતાબાએ ચીમકી ઉચ્ચારત જણાવ્યું હતું કે તલવાર મ્યાનમાં છે પરંતુ વોટ એ શસ્ત્રનો ઉપયોગ કરીશું.
વધુમાં ગીતાબાએ ચેતવણી આપતા કહ્યું હતું કે રાજપૂતો પર રાજનીતિ કરવી ભારે પડશે. રાજકીય દાવાઓમાં રાજપૂત સમાજ ક્યારેય પડ્યો નહીં અને પડશે નહીં. ગીતાબાએ જણાવ્યું હતું કે રાજકીય રોટલા શેકવા માટે રાજપૂતોનું અપમાન થઈ રહ્યું છે.
રાજકોટથી ધાનાણીએ શરૂ કર્યો વિવાદ
રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ગોવાળિયાનો વેશ ધારણ કરીને જાહેરસભાના મંચ પર પહોંચ્યા હતા. જાહેર સભામાં ધાનાણીએ એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો કરીને રાજકારણ ગરમાવી દીધું હતું. પરેશ ધાનાણી દ્વારા પટેલ સમાજ અને બાપુ એટલે ક્ષત્રિય સમાજ માટે હરખપદુડા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને લઈને રાજકરણ ગરમાઈ ગયું છે.
જાણો શું કહ્યું પરેશ ધાનાણીએ
ગત રાત્રીએ મરછા નગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. ધાનાણીએ કહ્યું પટેલ અને બાપુઓએ હરખપદુડા થઈ દરરોજ ભાજપના બી ને 10 ડોલ પાણી પાઈ રહ્યા છે. વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા,બધા સમાજનો વારો આવી ગયો,બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડયા છે. ધાનાણીએ વધુમાં કહ્યું કે હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું, સાંસદ બનવા નહીં પણ સાથી બનવા રાજકોટ આવ્યો છું. મહત્વનું છે કે પરેશ ધાનાણી આ જાહેરસભામાં ગોવાળિયા બનીને પહોંચ્યા હતા. પરેશ ધાનાણીએ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને સમર્થકોનો આભાર પણ માનયો હતો.









