જાનકીનો નાથ પણ જાણી શકયો નહીં કાલે સવારે શું થવાનું. બસ આવું જ કાંઈક રાણપુરના નાગનેશ ગામે બન્યું. જે ઘરમાં લગ્ન પ્રસંગને લઈ શરણાઈના મધુરા સૂર રેલાતા હતા. દિકરાની જાન જોડવા માટે ઘર થનગનતું હતું.
તેમાંય માતાનો તો હરખ જ કાંઈ ઓર હતો. બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને વહેલી સવારે સજીધજી નાગનેશ આવતા હતા. ત્યારે જ કાળનું ચક્ર ર્ફ્યું અને વરરાજાની માતા અને અન્ય જે કારમાં આવી રહ્યા હતા. તે કાર સામે આવતી લકઝરી બસ સાથે ટકરાતા જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં વરરાજાની માતા દક્ષાબેનનું મોત થયું હતું. જ્યારે અન્ય 4 લોકોને ધંધૂકા ઇસ્જી હોસ્પિટલ ખાતે 108માં લાવવામાં આવ્યા હતા. નાગનેશ ગામે રહેતા મઢવી પરિવારમાં આનંદ હતો દીકરાના લગ્ન હતા. વહેલી સવારે માતા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા અને પછી કારમાં પરત નાગનેશ આવી રહ્યા હતા. ત્યારે દક્ષાબેન મુકેશભાઈ મઢવી ઉ.વ.40 તથા તેમની સાથે કારમાં બેઠેલા રીંકુબેન મઢવી, યોગેશભાઈ મઢવી, હર્ષિદાબેન મઢવી તથા જિનલ મઢવીની કાર નાગનેશ નજીક પહોંચતા જ સામે આવી રહેલી ખાનગી લકઝરી બસ સાથે ધડાકાભેર ટકરાતા જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઇજાઓને કારણે દક્ષાબેનનું મોત થયું હતું. જ્યારે અન્ય ચારને 108 દ્વારા ધંધૂકા ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આમ દીકરાના લગ્નનો હરખ પળવારમાં જ શોકમાં ફેરવાઈ ગયો હતો. બનાવના પગલે નાગનેશ ગામમાં પણ શોકની લાગણી છવાઈ હતી.










